Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

પડધરીના ખંભાળા નજીક ટ્રેકટરે છકડાને ઉલાળતાં ચારણ પરિણીતાનું મોતઃ ૮ને ઇજા

પશુપાલન કરી ગુજરાન ચલાવતાં બાઘી ગામના પરિવારજનો વીરડા વાજડી ગામે લીલ પરણાવવાના પ્રસંગમાં જતા'તા

રાજકોટ તા. ૧૦: પડધરીના ખંભાળા-ઇશ્વરીયા વચ્‍ચે સાંજે ટ્રેકટરે છકડો રિક્ષાને ઉલાળી દેતાં રિક્ષામાં બેઠેલા પડધરીના બાઘી ગામના ચારણ ગઢવી પરિવારના ૯ લોકોને ઇજા થઇ હતી. જેમાંથી એક પરિણીતાનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ તમામ લોકો વીરડા વાજડી ગામે કુટુંબમાં લીલ પરણાવવાનો પ્રસંગ હોઇ તેમાં જઇ રહ્યા હતાં.

અકસ્‍માતમાં ઇજા પામનાર બાઘીના ખીમીબેન ભોળાભાઇ વાલા (ગઢવી) (ઉ.૨૨), તેના દિયર ભીખા રાયદે વાલા (ઉ.૧૫), પરિવારના અન્‍ય બાળકો નારણ રાયદે વાલા (ઉ.૧૪), મુળુ હરદાસ માલાણી (ઉ.૧૪), બઘી ખીમાભાઇ વાલા (ઉ.૮), દેવા ભોળાભાઇ વાલા (ઉ.૨), દેવી હરદાસભાઇ માલાણી (ઉ.૧૬), છકડો ચાલક રાજશી ગોવિંદભાઇ વાલા (ઉ.૨૫)ને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ખીમીબેનનું મોત નિપજ્‍યું હતું.

હોસ્‍પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ પુનરાજભાઇ નંઘાભાઇ માલાનું નિવદેન નોંધી પડધરી પોલીસને જાણ કરી હતી. પુનરાજભાઇના કહેવા મુજબ વીરડા વાજડી ગામે તેના માસીયાઇ ભાઇને ત્‍યાં લીલ પરણાવતાં હોઇ ત્‍યાં હાજરી આપવા પોતે અને ભાણેજડા રિક્ષામાં બેસીને જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં ટ્રેકટર ચાલકે રિક્ષા સાથે અકસ્‍માત સર્જ્‍યો હતો.

મૃત્‍યુ પામનાર ખીમીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણીના માવતર ગોંડલના લીલાખા ગામે રહે છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:04 pm IST)