Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

વકીલ પાસેથી લાંચ લેતા પકડાયેલ ગોંડલના નાયબ મામલતદારને ૩ વર્ષની સજા કોર્ટ ફટકારી

ગોંડલ,તા.૧૦: રાજકોટના ધારાશાસ્ત્રી પાસેથી ૧૪ વર્ષ પહેલા મામલતદાર કચેરી કોટડાસાંગાણી ખાતે તે સમયે રેવન્યુ શાખામાં ફરજ બજાવતાં સર્કલ ઓફિસરે ખાતેદાર ખેડૂત નો દાખલો આપવા માટે અભિપ્રાય માટે રૂપિયા એક હજારની લાંચ માંગી હતી અને એસીબીના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા જે અંગેના કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે ત્રણ વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલ ગોંડલ ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં નાથાભાઈ માલાભાઈ પરમારે ૧૪ વર્ષ પહેલા કોટડાસાંગાણી મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસરની ફરજ દરમિયાન રાજકોટના ધારાશાસ્ત્રી શામજીભાઈ જાગાભાઈ શેખડા પાસેથી ખાતેદાર ખેડૂત નો દાખલો આપવા માટે અને અભિપ્રાય માટે રૂપિયા એક હજારની લાંચ માંગી હતી અને એસીબી એ રંગેહાથ ઝડપી લીધેલ હતા જે અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ન્યાયમૂર્તિ શ્રી એમપી પુરોહિત સમક્ષ ચાલી જતા સરકારી વકીલ દ્યનશ્યામભાઈ ડોબરીયાની દલીલો, છ સાહેદોની તપાસ, પંચની જુબાની ને ધ્યાનમાં રાખી લાંચરૂશ્વત ધારા ૧૯૮૮ ની કલમ ૭ તથા ૧૩(૧) દ્ય તથા ૧૩ (૨) મુજબના ગુનામાં નાયબ મામલતદાર નાથાભાઈ માલાભાઈ પરમારને તકસીરવાન ઠરાવી ૩ વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.

(11:44 am IST)