Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

પરાજય બાદ મોરબી આપના પંકજ રાણસરિયાની પ્રતિક્રિયા:પ્રજાના પ્રશ્નોને અમે વાચા અપાવતા રહીશું

18 હજાર મતદારોએ અમારા ઉપર વિશ્વાસ મુક્યો, તે બદલ તેઓનો આભાર , અમે નગરપાલિકાની ચૂંટણી પણ લડીશું

મોરબી :ભલે મોરબી- માળિયા બેઠક ઉપર જીત ન મળી, પણ મોટી સંખ્યામાં મતદારોએ અમારી ઉપર વિશ્વાસ મુક્યો છે એટલે પ્રજાના પ્રશ્નોને અમે વાચા અપાવતા રહીશું. તેમ આપના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયાએ જણાવ્યું હતું.

મોરબી- માળિયા વિધાનસભા બેઠક ઉપર આપના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયાએ 18 હજાર મત મેળવ્યા છે. તેઓએ હાર સ્વીકારીને જણાવ્યું હતું કે આ વખતે પ્રજામાં જાગૃતતા આવી છે. આપને મત આપનારા તમામ મતદારો જાગૃત છે. અમે મોરબીમાં મજબૂત વિપક્ષ તરીકે પ્રજાના પ્રશ્નોને વાચા આપતા રહીશું. લોકોએ અમારી ઉપર જે વિશ્વાસ મુક્યો છે તે પ્રકારે લોકોના પડતર પ્રશ્નો માટે અવાજ ઉઠાવવા અમે સતત પ્રયત્નશીલ રહીશું.
વધુમાં તેઓએ કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પાયો નાખ્યો છે.પ્રથમ ચૂંટણીમાં જ 13 ટકા વોટ શેર મેળવ્યો છે. હવે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની લડાઈ હશે. અંતમાં તેઓએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી હવે આગામી નગરપાલિકા સહિતની ચૂંટણી લડશે.

(11:45 pm IST)