Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જૂનાગઢ જિલ્લા જેલના કેદીનો વંથલી પાસે ઝેરી દવા પી આપઘાત

જેલવાસથી કંટાળી જઇને આત્મઘાતી પગલુ ભર્યું

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૯ : જૂનાગઢ જિલ્લા જેલના એક કેદીએ વંથલી પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મરનાર કેદીએ જેલવાસથી કંટાળી જઇને આત્મઘાતી પગલુ ભર્યું હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢના ગાંધીગ્રામમાં શીશુમંગલ ફાટક પાસે રહેતો અજય અરજણભાઇ બાંટવા (ઉ.વ.૨૩) નામનો મર્ડર કેસમાં જૂનાગઢ જિલ્લા જેલમાં બંદી હતો પરંતુ હાલ અજય જેલમાંથી પેરોલ મેળવીને રજા પર હતો.

ગઇકાલે તેને પેરોલ રજા ઉપરથી જેલમાં ફરી હાજર થવાનું હતું પરંતુ જેલવાસથી કંટાળી જઇ અજયે વંથલીના વાડલા ફાટક પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ અંગેની જાણ થતાં પોલીસે આ યુવાનને સારવાર માટે જૂનાગઢ ખસેડયો હતો પરંતુ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વિશેષ તપાસ વંથલીના પોલીસ જમાદાર એસ.ડી.સોંદરવા ચલાવી રહ્યા છે.

(12:53 pm IST)