Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

માનવ મહેરામણ ઉમટયોઃ ૩ લાખ યાત્રીકો દ્વારા પરિક્રમા

જુનાગઢ ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો મધરાતે સાધુ-સંતો અને અધિકારીઓની ઉપસ્થિતીમાં વિધીવત પ્રારંભ : રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, કલેકટર સૌરભ પારધી સહિતના અધિકારી ખડેપગે

ગિરનારની પરિક્રમાનો વિધીવત પ્રારંભઃ ભાવિકો ઉમટયા :.. ગત રાત્રે પૂ. ઇન્દ્રભારતીબાપુના પ્રવેશ દ્વારા પાસે બરોબર રાતના બારના ટકોરે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુ કલેકટર શ્રી સૌરભ પારધી, મ્યુ. કમિશનર તુષાર સુમેરા, મેયર ધીરૂભાઇ ગોહેલ, જયશ્રીકાનંદગીરીજી માતાજી હરીહરાનંદ ભારતીબાપુ તનસુખગીરીબાપુએ પૂજનવિધી કર્યા બાદ વિધીવત પ્રારંભ કરાવતા તસ્વીરમાં નજરે પડે છે. તેમજ પરિક્રમા પુણ્યનું ભાથુ બાંધવા  ઉમટી પડેલ યાત્રિકો નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

જુનાગઢ, તા. ૯ : જુનાગઢ ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાં ગઇકાલે મધરાત્રે ગિરનાર મંડળના અધ્યક્ષ અને જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીજી મહારાજ હરિહરાનંદ ભારતીજી મહારાજ પીઠાધિશ્વર જયશ્રી કાનંદગીરીજી માતાજી, તનસુખગીરી બાપુ તેમજ જીલ્લા કલેકટર ડો. સૌરભ પારધી મ્યુ. કમિશનર તુષાર સુમેરા જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ,તેમજ મેયર ધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાન્સુ પંડયા, કોર્પોરેટર એભાભાઇ કટારા, પ્રદીપભાઇ ખીમાણી, સંજયભાઇ કછરડીયા, યોગીભાઇ પઢીયાર, ડે. મ્યુ. કમિ.શ્રી નંદાણીયા, આસી. કમિશ્નરશ્રી પ્રફુલ્લ કનેરીયા, શ્રી જયેશ વાજા સહિતનાની ઉપસ્થિતિમાં રીબીન કાપી પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે યાત્રિકોની ભારે ભીડ જામી હતી.

પરિક્રમાનો વિધીવત પ્રારંભ થયા બાદ ઉતારા અન્નક્ષેત્રમાં ભજન ભોજન અને ભકિતનો રસ ઘુટાવવા લાગ્યો છે અને પરિક્રમામાં ભવનાથ તરફના માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડયો હતો અને ભવનાથમાં માનવ કીડીયારૂ ઉભરાયું હોય તેમ પગ મૂકવાની પણ જગ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પરિક્રમાનો વિધીવત પ્રારંભ થાય તે પૂર્વે ૧ લાખથી વધુ પરિક્રમાર્થી નળયાણીની ઘોડી પસાર થઇ ચૂકયા હતાં. અને વિધીવત પ્રારંભ થતા જ આજે જંગલમાં મંગલ પ્રકૃતિના સંગાર્થે પુણ્યનું ભાથુ બાંધવા ૩ લાખથી વધુ ભાવિકો પરિક્રમા માર્ગે આગળ ધપી રહ્યા છે.

પરિક્રમાને લઇને આજે જુનાગઢ શહેરના રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન સહિતના સ્થળોએથી યાત્રિકો અવિરત ઉમટી રહ્યા છે ત્યારે ભવનાથમાં આશ્રમો ઉતારા અન્નક્ષેત્રમાં હરિહરની હાંકલ થઇ રહી છે. તેમજ પરિક્રમાના માર્ગો પર પણ વિવિધ સેવાભાવી સંસ્થા દ્વારા ચા-પાણી ગુંદી ગાંઠીયા તેમજ અન્નક્ષેત્રોમાં સૌ ભાવિકોને ભાવથી ભોજન કરાવી રહ્યા છે.

આ પરિક્રમમાને લઇને વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં જીલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધી, ડીઆઇજી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર એસપી શ્રી સૌરભસિંઘ, ડીએસઓ સુનિલ બેરવાલ અને મ્યુ. કમિશનર, શ્રી તુષાર સુમેરા સહિતના અધિકારીઓ સતત ભવનાથ અને પરિક્રમા રૂટની મુલાકાત લઇ જીણવટભરી કાળજી લઇ રહ્યા છે. (૮.૧૦)

(1:10 pm IST)