Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત યલો કેમ્પેઇન કાર્યક્રમ સંપન્ન

સુરેન્દ્રનગર,તા.૯: રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા, પાટડી ઔદ્યોગિક તાલીમ સંસ્થા તેમજ વડોદરા ફેઇથ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં 'યલ્લો લાઇન કેમ્પેઇન' કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે પાટડી મામલતદારશ્રી પી.એસ. ખરાડી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ.એમ. સોલંકી, આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી એમ.બી. પટેલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના કાઉન્સીલર ધર્મિષ્ઠાબેન મમગરાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે,  ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૩માં તમાકુથી થતી બીમારીઓ અને તેને રોકવા માટેનો કાયદો બનાવવામાં આવેલ છે. દેશમાં આજે ૧૨૦ મિલિયન લોકો તમાકુનુ સેવન કરે છે અને તેના કારણે દર વર્ષે  ૧૦ મિલિયન જેટલા લોકો મૃત્યુ પામે છે. તમાકુના વ્યસનથી મુકત બની નિરોગી બનવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. દરેક શાળા- કોલેજની આસપાસ ૧૦૦ વાર ત્રીજયામાં તમાકુ કે તમાકુની અન્ય બનાવટોનું વેચાણ ન થાય તે માટે લોકોએ પણ જાગૃતી કેળવવી જરૂરી હોવાનું જણાવી  'યલ્લો લાઇન કેમ્પેઇન'કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લો ૨૩ માં ક્રમે હોવાનું પણ વધુમાં ઉમેર્યું હતું.  

આ પ્રસંગે તમાકુ નિયંત્રણ અંગેના કાયદા અંતર્ગત કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ ૧૦૦ વાર ત્રિજયામાં તમાકુ અથવા તો તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધના સખત અમલીકરણ કરવા માટે પાટડીની શૈક્ષણિક સંસ્થાની આસપાસ યલ્લો લાઇન દોરી 'તમાકુ મુકત સંસ્થાન'ચિન્હ બનાવવામાં આવેલ હતું. તમાકુ મુકત શાળા, દ્યર, ગામ, જિલ્લો તેમજ રાજય બનાવવા માટેના શપથ લેવડાવવામાં આવેલ હતાં. આ પ્રસંગે પોલીસ વિભાગના શ્રી માવજીભાઇ, ફેથ ફાઉન્ડેશનના શ્રી અક્ષયભાઇ, શ્રી ચિરાગભાઇ, શ્રી જીજ્ઞેશભાઇ, તમાકુ નિયંત્રણ સેલના વિજયભાઇ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતાં.

(11:54 am IST)