Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ભાવનગરમાં ૧૮ દિવસના બાળકની હત્યા ?

મીઠી નીંદર માણી રહેલા બાળકને ર સાધુ જેવા શખ્સોએ પાણીના ટાંકામાં ફેંકીને મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ

ભાવનગર : ૧૮ દિવસના માસુમ બાળકની લાશ પાણીમાં ટાંકામાંથી મળી આવતા આ બાળકની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર, તા. ૯ : ભાવનગરમાં માત્ર ૧૮ દિવસનું બાળક ઘોડીયામાં સુતુ હતું ત્યાર બાદ બાળકનો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવતા આ બાળકને કોઇએ ઉઠાવી ટાંકામાં ફેંકી હત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં કબ્રસ્તાન સામે રહેતા દિનેશભાઇ પરમારનો માત્ર ૧૮ દિવસનો બાળક પોતાના ઘરે ઘોડીયામાં સુતો હતો બાદમાં બાળક ગૂમ થઇ જતાં પરિવારજનોએ બે સાધુ-બાવા જેવા શખ્સો આવ્યા હતાં તે બાળકનું અપહરણ કરી ગયાનો આક્ષેપ કર્યો હતો.

દરમ્યાન ગુમ થયેલ બાળક તેના ઘરના જ પાણી ભરેલા ટાંકામાંથી મૃત હાલતમાં મળી આવતા પરિવારજનોએ આ બાળકને બાવા જેવા બે શખ્સેએ ઉઠાવી તેને જ પાણીમાં ટાંકામાં ફેંકી દઇ હત્યા કરી હોવાનું જણાવતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

દરમ્યાન પોલીસે આ વિસ્તારમાંથી બે બાવા જેવા શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. જોકે આ બનાવ અંગે પોલીસ કશું જણાવતી નથી. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

બનાવની જાણ થતાં જ સીટી ડીવાયએસપી મનીષ ઠાકોર, ડી-ડીવીઝન પોલીસ, ડોગસ્કવોડ એસસીબી પોલીસ વિગેરે કાફલો કુંભારવાડા બનાવ સ્થળે દોડી ગયો હતો. (૮.૧૭)

(3:52 pm IST)