Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સૈનિક સ્કૂલ બાલાચડીના 'હીરક મહોત્સવ'ની ઉજવણી

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે નવનિર્મિત છાત્રાલયોનાં ઉદઘાટન કરાયા

જામનગર, તા.૯: સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરના હીરક મહોત્સવ પ્રસંગે રાજયના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સૈનિક સ્કૂલ બાલાચડીમાં માત્ર શિક્ષણ નહીં પરંતુ દેશસેવા માટે ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવામાં આવે છે તેમ જણાવી સૈનિક સ્કૂલમાં હવે દીકરીઓને પણ પ્રવેશ આપવાના નિર્ણય બદલ શુભેચ્છા આપી હતી.

મંત્રીશ્રીએ દીકરીઓને સેનાની વર્દીમાં અને રાષ્ટ્રની સંરક્ષણ સેવામાં યોગદાન આપતી જોવાની ઈચ્છા વ્યકત કરી હતી તેમજ ઓનલાઇન મોડ દ્વારા જોડાયેલા કેડેટ્સને ઉચ્ચ વિચાર અને ઉચ્ચ લક્ષ્ય રાખવા તેમજ નિષ્ફળતાઓથી નિરાશ ન થઈ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

મહિલા કેડેટ માટે આજે નવીનીકરણ થયેલ અહલ્યાબાઈ ભવન અને પુરુષ કેડેટ માટે નવનિર્મિત સરદાર પટેલ ભવનના જેવા મહાનુભાવોના નામ અને ચરિત્રો પરથી પણ બાળકોને પ્રેરણા પ્રાપ્ત થશે તેમ સાંસદશ્રીએ ઉમેર્યુ હતું.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નવનિર્મિત પુરુષ છાત્રાલય 'સરદાર પટેલ હાઉસ' અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે નવીનીકૃત મહિલા છાત્રાલય 'અહલ્યાબાઇ હાઉસ'નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી અને સાંસદશ્રી એ સૈનિક સ્કૂલ બાલાચડીમાં શૌર્ય સ્તંભ, શહીદોના યુદ્ઘ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

હીરક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળાના સભા ખંડમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગ્રુપ કેપ્ટન રવીન્દરસિંહએ શાળાના ૬૦ વર્ષના ગૌરવપૂર્ણ ઇતિહાસથી સર્વેને અવગત કર્યા હતા. તેમણે શાળાના વિકાસમાં યોગદાન આપનાર સંસ્થાના સ્થાપક, પૂર્વ પ્રશાસકો અને પૂર્વ કર્મચારીઓને શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી.

આચાર્ય શ્રી રવીન્દરસિંહએ સંરક્ષણ મંત્રાલય સાથે મેમોરેન્ડમ કરાર પર સહી કરવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો અને આ બદલ શાળાના સર્વાંગી વિકાસ માટે મદદ મળશે તેમજ શાળા વિશ્વ કક્ષાની બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સૈનિક સ્કૂલ બાલાચડીના નવીનીકૃત અને નવનિર્મિત બંને છાત્રાલય ગુજરાત રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

આચાર્યશ્રીએ 'ઓલ્ડ બોયઝ ઓફ સૈનિક સ્કૂલ એસોસિએશન' (ઓબ્સા)ના સભ્યોનો શાળાને લોન્ડ્રી મશીન ભેટ આપવા બદલ આભાર માન્યો હતો અને તેઓ સ્કૂલના રાજદૂત છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે ભારતીય વાયુસેનાના ફિલ્ડ માર્શલ સેમ માણેકશા, ફિલ્ડ માર્શલ કે. એમ કારિઅપ્પા અને માર્શલ ઓફ ધ ઈન્ડિયન એરફોર્સ અરજન સિંહના ચિત્રોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

હિરક મહોત્સવ પ્રસંગે ૩૧ ઇન્ફેન્ટ્રી બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સિદ્ઘાર્થ ચંદ્રા, જામનગરના કલેકટર શ્રી સૌરભ પારધી, ઓબ્સાના ઉપપ્રમુખ કર્નલ હરેશ લિંબાચીયા અને ડો.ભરત ગઢવી, શાળા કર્મીઓ, કેડેટસ અને સૈનિક સ્કૂલ બાલાચડીના પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:07 pm IST)