Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

કચ્છની કેરી મસ્કતના પાક ગુણવત્તાના ૨૮૩ પ્રમાણોથી પાસ થઇને વધુ લોકપ્રિય બની ગઇ

ભૂજ: બાગાયત ખાતાના ચાર પાયાના વિચાર બાગાયતે ખેડૂતો માટે રજુ કર્યા છે જેમાં બાગાયતી ખેતી કરો, ગામડાં સમૃધ્ધ બનાવો, યશસ્વી કારર્કિદી ઘડો અને તગડો નફો મેળો આ ચારેય પાયાના પ્રથમ અક્ષરથી બને છે બાગાયત.

આ ચારેય પાયાની બાબતોને કચ્છના બાગાયતી ખેડૂતો સાર્થક કરી રહયા છે. વર્ષ ૨૦૧૯-૨૦ મુજબ કચ્છમાં ૧ લાખ ૪૩ હજાર હેકટરમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહયા છે. ૫૬ હજાર હેકટરમાં ફળઝાડ, ૧૪ હજાર હેકટરમાં શાકભાજી અને ૭૨ હજાર હેકટરમાં મસાલા પાક લઇ રહયા છે બાગાયતી ખેડૂતો !!

આ વર્ષે અંદાજે ૧૩ હજાર હેકટરમાં પ્રખ્યાત કચ્છી આંબા (કેરી) થયા છે. જેમાં ૯૦ ટકા કેસર આંબા (કેરી) અને ૧૦ ટકા અન્ય આંબાજેવાં કે,” આલ્ફાન્સો, આમ્રપાલી, સોનપુરી, તોતાપુરી, દેશીઆંબા (કેરી) ,ખેડોઇમાં જમ્બો કેસર વગેરેનો પાક હાલે મે થી જુન માસ દરમ્યાન બજારમાં લોકો સુધી સ્વાદ અને સોડમ લઇ પહોંચે છે.

મદદનીશ બાગાયત નિયામક કે.પી.સોજીત્રા જણાવે છે કે, “ સ્વાદ ગુણવતાના પગલે કચ્છ કેસર કેરી વિશ્વ પ્રખ્યાત છે. આ વર્ષે તાઉતે વાવાઝોડાના પગલે ૬૦ ટકા મેટ્રીક ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. જેના ભાવ ખેડૂતોને મળશે. ફળઝાડ વાવેતર વિસ્તાર, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પેક હાઉસનો કચ્છના ખેડૂતો ભરપુર લાભ લીધો છે. અમે વિવિધ સહાયો આપીએ છીએ. હાલે ખેડૂત આઇ પોર્ટલ ખુલ્લું હોઇ વિવિધ સહાયનો લાભ લો.

જિલ્લાના અંજાર તાલુકામાં ખેડોઈ, ખભંરા, નખત્રાણા તાલુકાના ખીરસરા, રોહા, વેરસલપર અને ભુજ તાલુકામાં રેલડી, વાવડી, આણંદપર, બીરાસર, તળાવળા અને દહીંસરા તેમજ માંડવી તાલુકાના ગઢશીશા, મોટી મઉ, નાની મઉ અને દેવપર ગામો આંબા (કેરી) ના પાક માટે પ્રખ્યાત છે. જેમાં ગઢશીશા વિસ્તાર એ કેસર આંબાનું પોકેટ (વાવેતર વિસ્તાર) કહેવાય છે.

ગઢશીશા વિસ્તારના અને કેસર આંબાને પરદેશમાં અને હાલે મસ્કતમાં માર્કેટ ઉભું કરનાર અને ગુણવત્તાના મસ્કત સરકારના ૨૮૬ માપદંડોથી કેસરને પ્રમાણિત કરી કચ્છી કેસરની આગવી શાખ ઉભી કરનાર પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂત બટુકસિંહ જાડેજાની વાત કરીએ તો બાગાયત ખાતાની વિવિધ સહાયો અને ધરતીપુત્રો એવા ખેડૂતની કોઠાસૂઝ અને વેપારી બુધ્ધિથી તેમણે શરૂઆતમાં જે વાત લખી છે એ બાગાયત ને સાર્થક કરે છે !!!.

બાગાયતી ખેતી કરો, ગામડાં સમૃધ્ધ બનાવો, યશસ્વી કારર્કિદી ઘડો અને તગડો નફો મેળવો... બાગાયત

નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ અને રાજય સરકારની બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર, ટીસ્યુકલ્ચર છોડથી ખારેક ખેતી વધારો, પેકીંગ મટીરીયલ્સ, કો૯ડરૂમ વ્યવસ્થાની બે વાર, સબસીડીનો લાભ મેળવી ચૂકયા છે. હાલે ગઢશીશા વિસ્તારમાં મોટી મઉ ખાતે ૨૫૦ એકર જમીનમાં ડ્રીપ ઈરીગેશન, પેકહાઉસ, સ્ટોરેજની સહાયથી આ પ્રયોગશીલ ખેડૂત મસ્કતની માર્કેટમાં કચ્છની કેરી ખવડાવી રહયા છે.

આ પ્રગતિશીલ ખેડૂતે ૨૦૦૪માં સૌ પ્રથમ કચ્છની કેસર વિદેશમાં લંડનમાં પહોંચાડી હતી. ૨૦૦૬માં સિંગાપુરમાં ટ્રાન્સપોર્ટ કરી હતી. જેની નોંધ લઇ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તે સમયે  તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ૨૦૦૬માં નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા સિંગાપુરમાં ગુજરાતના ખેડૂત પ્રતિનિધિ તરીકે હાજર રહી પ્રથમ આવ્યા હતા.  આ પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂત અન્ય ખેડૂતનો પ્રોત્સાહિત કરતા કહે છે કે, ઓર્ગેનિક ખેતી કરો, રસાયણ મુકત જમીન કરો, સરકારી યોજનાના લાભ લો અને વૈજ્ઞાનિક આધુનિક પધ્ધતિનો ઉપયોગ કરો.

તેમના શબ્દોમાં જ લખું તો વરસો પહેલાં ખેડુતોને કોઇ પૂછતું નહોતું. અનુભવે અને નિરીક્ષણથી હું વાતાવરણ, જમીન, પાણી અને પ્રયોગથી મબલખ પાક લઉ છું. પણ એમાં ઘરઆંગણે આવી ખેડૂતોને સહાય કરતી કૃષિરથ, કૃષિ મહોત્સવનો મહત્તમ ફોળો છે!!.

ઘેર બેઠાં કૃષિ મહોત્સવ થકી સરકારે ખેડૂતોને સધ્ધર કરવા જમીનના સોઇલ ટેસ્ટ, વાતાવરણ, ઓર્ગેનિક ખેતી, આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવાના ઉપાયો બતાવ્યા છે. જેના પગલે ભણેલાં ગણેલા યુવાનો પણ ખેતી તરફ વળ્યા છે. વિષમ વાતાવરણ અને પ્રતિકુળ પરિસ્થિતિઓ વચ્ચે પણ ખેડૂતો અને આજના યુવાઓ વિવિધ ખેતી કરી રહયા છે.

ખેડૂત આઇ પોર્ટલનો લાભ લઇ દરેક ખેડૂતે પોતાના પાકની ગુણવત્તા અને પ્રમાણને ઉત્તમ બનાવવા જ જોઇએ. જેથી માર્કેટ ખેતરમાં આવે ખેડૂતે માર્કેટમાં જવાની જરૂર ના પડે. આપણો માલ જ આપણું માર્કેટીંગ કરે અને માર્કેટ સામે આવી તમને મોં માંગ્યા દામ આપે જેથી ઘરઆંગણે ખેડૂતને સધ્ધર કરવાનો સરકારનો અને ખેડૂતોના પોતાના સંકલ્પ પણ સાકાર થઇ શકે છે.

હાલે કચ્છમાંથી આંબા, ખારેક, પપૈયા, સ્ટ્રોબરી, ડ્રેગનફુટ, પપૈયા વગેરેની મોટી માંગ અન્ય બજારોમાં છે.વસતી વધવાની છે જમીન નહીં આથી દરેક ખેડુતને હું અનેકોવાર મીટીંગો અને વ્યકિતગત રીતે પણ કહું છું. પાણી, હવા, વાતાવરણ, જમીનનો અને પાકનો કયાસ કાઢવો ઓછી મજુરી અને પાણી તેમજ ગુણવત્તાયુકત પાક પકવીને ચીલાચાલુ ખેતી પધ્ધતિ બદલી આધુનિક ખેતી કરવી વધુ ફાયદાકારક છે.

(4:47 pm IST)