Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સાળંગપુર હનુમાન મંદિરમાં ભવ્ય આમ્રોત્સવનું આયોજન

દાદાને મીઠી મધુર કેરીઓનો પ્રસાદ ધરાવાયો : શનિવાર અને એકાદશી હોઇ લાખોની સંખ્યામાં દાદાના શ્રદ્ધાળુઓએ કષ્ટભંજન દેવ અને આમ્રોત્સવ દર્શન કર્યા

અમદાવાદ,તા.૯ : સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે ભવ્ય આમ્રોત્સવનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને આજે સુગંધથી મધમધતી કેરીઓનો અનોખો અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. દાદાની મૂર્તિની ચારેબાજુ આંબાના પાન વચ્ચે લટકતી કેરીઓના અનોખા દ્રશ્યો દર્શાવતો શણગાર કરવામાં આવ્યો હતો.  તો દાદાની આગળ છેક સુધી ઢગલાબંધ કંરડિયામાં જાતજાતની અને ભાતભાતની મીઠી અને મધુર કેરીઓનો પ્રસાદરૂપે ભોગ ધરાવી દાદાનો આમ્રોત્સવ મનાવવામાં આવ્યો હતો. આજે શનિવાર અને એકાદશી હોઇ લાખોની સંખ્યામાં દાદાના શ્રધ્ધાળુ ભકતોએ કષ્ટભંજન દેવના અને આમ્રોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે સમગ્ર દિવસ દરમ્યાન અને મોડી સાંજ સુધી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે મોટી સખ્યામાં ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં. આજે એકાદશી સાથે શનિવાર એટલે હનુમાનજી દાદાનો વાર છે. ત્યારે બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અલગ-અલગ તહેવાર નિમિત્તે અલગ અલગ શણગાર સાથે હનુમાનજી દાદાનો શણગાર કરવામાં આવે છે.  સાળંગપુર મંદિર ખાતે આજે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો આમ્રોત્સવ મનાવવામાં આવ્યો હતો. હાલ ઉનાળાની સીઝન હોઇ ફળોના રાજા તરીકે કેરી એવી અલગ-અલગ પ્રાંતની કેરી સાથે તેમજ કેરીનો રસ કેરીની કટકી સાથે આજે હનુમાનજી દાદાનો કેરીથી શણગાર કરવામાં આવ્યો હતો. જે શણગાર જોઈ દાદાના દર્શન કરતા ભક્તોમાં અનેરો આનંદ પણ જોવા મળતો હતો અને કેરી સાથેના દાદાના ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા.  હાલ પુરષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આજે શનિવાર છે ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દરેક તહેવારની વિશેષ અને અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં હનુમાનજીની મૂર્તિને કેરીનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ દાદાની આગળ સંખ્યાબંધ કરંડિયામાં મીઠી મધુર અને જાતજાતની-ભાતભાતની કેરીઓનો ભોગ ધરાવી પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. જે પ્રકારે છપ્પનભોગ અન્નકુટ દાદાને ધરાવાય છે તેવા જ મનમોહક દ્રશ્યો આજે મંદિરમાં સર્જાયા હતા. દાદાનાદ આમ્રોત્સવ અને કેરીઓના અનોખા શણગારના દર્શન કરવા માટે શ્રધ્ધાળુ ભક્તોની રીતસરની પડાપડી જોવા મળી હતી. આજે એકાદશી અને શનિવારની સાથે સાથે આમ્રોત્સવની ઉજવણીને લઇ દાદાની ભવ્ય આરતી અને વિશેષ પૂજા-અર્ચના પણ કરવામાં આવ્યા હતા તો, મંદિર વહીવટી તંત્ર તરફથી દાદાના લાખો શ્રધ્ધાળુ ભકતો માટે દર્શન-પ્રસાદની પણ ઘણી સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.

(10:20 pm IST)