Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સાંજે ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા ઘંટારવઃ કાલે ગામડા બંધ

જામકંડોરણા : તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવેલ. (તસ્વીર : મનસુખ બાલધા)

રાજકોટ તા. ૯ :.. ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પોષણક્ષમ ભાવ, પાક વીમા, અન્ય રાજયોની માફક ૧૮ થી ર૪ કલાક  વિજળી, દેવા માફી, જમીન સંપાદન વગેરે મુદ્ે તા. ૮ મીથી ૩ દિવસ વિરોધ પ્રદર્શન, આંદોલન, આવેદન આપવાના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતાં. જે અંતર્ગત સૌરાષ્ટ્રમાં ખેડૂત હિત રક્ષક સમિતિ તથા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર આંદોલન કરવામાં આવ્યા હતાં.

આજે સાંજે ઘંટારવ કાર્યક્રમ યોજીને સરકારને જગાડવામાં આવશે.

દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સમર્થન આપવામાં આવ્યું છે અને આજથી ૩ દિવસ સુધી ખેડૂતો, કોંગી આગેવાનો, કાર્યકરો દ્વારા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો કરીને રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.

આજથી ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ પણ જોડાશે. કોંગ્રેસના કાર્યકરો આજે રાજયભરમાં જીલ્લા-તાલુકા મથકે ધરણા યોજી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. ખેત પેદાશોના પોષણક્ષમ ભાવોથી માંડીને સિંચાઇ માટે પાણી, વિજળી આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આજે સાંજે ઘંટારવ કાર્યક્રમ યોજશે જેમાં કોંગ્રેસના કાર્યકરો થાળી-વેલણ વગાડીને જગાડશે. ખેડૂત આંદોલનને કોંગ્રેસની સાથે ગુજરાત કિસાન સભા સહિતની અન્ય ખેડૂત સંસ્થાઓનો પણ ટેકો મળી રહ્યો છે. ૯મી ખેડૂત સંગઠનોએ કિવટ ઇન્ડિયાના દિવસે ખેડૂતોની માંગણી સ્વીકારો અથવા ગાદી છોડોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવા નક્કી કરાયું છે. કાલે ૧૦મી એ ખેડૂતો, કોંગ્રેસ, સીપીએમ સહિતની રાજકીય પાર્ટીઓ ઉપરાંત ખેડૂત સંગઠનો ભેગા મળીને રસ્તા રોકો, ગામડા બંધનું એલાન આપ્યું છે જેના પગલે ઠેર ઠેર ઘર્ષણ થવાની સંભાવના છે. આ જોતા પોલીસ સરકાર અત્યારથી જ સતર્ક બની છે. સરકારની સૂચનાથી ખેડૂત આગેવાનો, આંદોલનકારીઓ, કોંગ્રેસી નેતાઓ પર આઇબીએ બાજ નજર રાખી છે. ખેડૂતો હવે બુલેટ ટ્રેન ઉપરાંત મુંબઇ-દિલ્હી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હાઇવે પ્રોજેકટનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે. આ પ્રોજેકટ માટે ય ખેડૂતો હવે જમીન આપવા તૈયાર નથી જે સરકાર માટે મુશ્કેલી સર્જી શકે છે. આમ, આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે ખેડૂતો ઉપરાંત કોંગ્રેસીઓ વિરોધ પ્રદર્શન કરી સરકારને ઘેરશે.

કોંગ્રેસ અને ખેડૂતોએ રસ્તા પર દૂધ અને શાકભાજી ઢોળી વિરોધ કર્યો હતો. કેશોદમાં ઉગ્ર પ્રદર્શન કરે તે પહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

જામકંડોરણા : તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવેલ જેમાં  જણાવેલ  છે કે જામકંડોરણા તાલુકાના ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ મળતા નથી અને ખેડૂતોને યેનકેન પ્રકારે લુંટવામાં આવે છે. તેમજ કારમી મોંઘવારીમાં દિન પ્રતિદિન પેટ્રોલ - ડીઝલના ભાવ આસમાને ગયેલ હોય જેના કારણે ખેડૂતો પોતાનું પેટીયું રળી શકતા નથી.

ખેડૂત દિન પ્રતિદિન પાયમાલ થતો જાય છે અને અંતે ખેડૂતો લાચાર બનીને આપઘાત કરી પોતાના જીવ ગુમાવે છે અને ખેડૂતોના પરિવારો બરબાદ થઇ જાય છે અત્યારે આ જગતનો તાત કોઇને ફરીયાદ પણ કરી શકતો નથી ખેડુતોને પાક વિમાની લાલચ આપી પાક વિમો પણ ચુકવવામાં આવતો નથી જેના કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયેલ હોય ખેડૂતો જો પાયમાલ થશે તો દેશ બરબાદ થઇ જશે.

આ અંગે ઉચ્ચકક્ષાએથી ખેડૂતલક્ષી યોજનાઓ બનાવવાની માંગ કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર આપતી વખતે જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા, જિલ્લા પંચાયતના સદસ્ય મનોજભાઇ બાલધા, સેજુલભાઇ ભુત સહિતના આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતાં.

(11:34 am IST)