Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

જસદણ પંથકમાં આજે પણ કોરોના કહેર યથાવતઃ ૧૩૪ કોરોના પોઝીટીવ

( વિજય વસાણી દ્વારા ) આટકોટ તા.૯ : જસદણ પંથકમાં આજે પણ કોરોના કહેર યથાવત હોય આજે  પંથકમાં ૧૩૪ પોઝીટીવ કેસ આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે જયારે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છતાં પણ કોરોનાની ચેઇન અટકાવી શકાય નથી.

જસદણ પંથકમાં કોરાનાની સ્થિતી દિવસે દિવસે બદતર થતી જાય છે ગઇકાલે ૨૪ કલાક દરમ્યાન ૧૩૪ કેસ પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે અને લોકોમાં ભયનુ લખલખુ પ્રસરી ગયું છે.

જો કે સ્થાનિક તંત્ર દ્વારા લોકો સમક્ષ સાચા આંકડા આપવામાં આવતા જ નથી ઉલ્ટાના સાચા આંકડા બહાર આવવા લાગ્યા હોય ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાના કર્મચારીઓને ધમકાવી તેમની સામે ફરીયાદ કરવાની ધમકીઓ આપવામાં આવે છે આવા અધિકારીઓ સામે પણ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ગઇકાલે એકલા જસદણ બ્લોક ઓફિસમાંથી ૧૩૪ પોઝીટીવ કેસોની યાદી મોકલવામાં આવી છે જયારે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આખા જીલ્લામાંથી માત્ર ૯૫ કેસ પોઝીટીવ બતાવવામાં આવ્યા છે!

જસદણ પંથકમાં દિવસે દિવસે કોરોના પોઝીટીવ કેસ વધવા લાગ્યા હોય લોકો દ્વારા સ્વયંભુ કોરોના ગાઇડ લાઇનનુ પાલન કરવુ જરૂરી બની ગયુ છે સ્થાનિક તંત્ર દ્વારા પણ ગાઇડ લાઇનનુ પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

(12:57 pm IST)