Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જામનગર જીલ્લામાં વિદેશ પ્રવાસ કરીને ૮૧૦ વ્યકિતઓ આવ્યા હતાઃ ૧૩ની શોધખોળઃ વિડીયો કોન્ફરન્સમાં માહિતી

જામનગર,તા. ૯: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજયના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાંઙ્ગ રહેલા રાજય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.

શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટઙ્ગ ના આવે તેવા ઉદ્દાત ભાવથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠક યોજાઇ. આ બેઠકમાં જામનગર ખાતે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી. જેમાં જામનગરમાં કોવિડ-૧૯ અંતર્ગત થયેલ કામગીરી મુખ્યમંત્રીશ્રીને જણાવવામાં આવેલ હતી.

જેમાં ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગરમાં ૧૦૦ આઇસોલેશન બેડની વ્યવસ્થા છે જેને વધારીને ૭૦૦ સુધી લઈ જઈ શકાય તેવા આયોજન સાથે કોવિડ-૧૯ માટે નવી જી.જી.જી. હોસ્પિટલ સજ્જ છે. સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ સિક્કા સી.એચ.સી ખાતે ૨૦ બેડની વ્યવસ્થાનું આયોજન છે. ઉપરાંત ૨ ખાનગી દવાખાનામાં જેમાં ૫ આઇસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી ૧૦૦ ટકા પૂરી કરવામાં આવેલ છે.અત્યાર સુધી વિદેશ પ્રવાસ કરીને આવેલ વ્યકિતઓની સંખ્યા ૧૨૨૩ તેમાંથી ૮૧૦ જામનગર જિલ્લાના છે. (જેમાંથી હાલ સુધી કવોરેંટાઇન કરેલ વ્યકિતઓની સંખ્યા ૭૦૭ છે તથા બાકી રહેતા ૧૩ વ્યકિતઓની શોધખોળ ચાલુ છે.) હોમ કવોરેન્ટાઇનનો ભંગ કરેલ વ્યકિતઓની સામે કરેલ ફરિયાદ-૫, ડીસ્ટ્રીકટ કવોરેંટાઇન ફેસિલિટી સેન્ટરની સંખ્યા ૮ છે જેની કુલ ક્ષમતા ૧૦૬૦ વ્યકિત છે. ડિસ્ટ્રિકટ કવોરેંટાઇનમાં રાખેલ વ્યકિતઓની સંખ્યા ૨૦ વ્યકિત  છે.

કુલ નિયત કરેલ આશ્રયસ્થાનની સંખ્યા ૩ છે જેમાં ૮૦૦ આશ્રિતોનો સમાવેશ કરી શકાય તેમ છે. હાલ આશ્રયસ્થાનમાં કોઈ વ્યકિતઓને રાખવામાં આવેલ નથી. હાલ સુધીમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એન.એફ.એસ.એ. કાર્ડધારકોને ૯૫.૩૨ ટકાથી વધુનું અનાજ વિતરિત થયેલ છે.લોકડાઉનને કારણે જરૂરિયાતમંદ લોકોને કરેલ રાશન કીટ વિતરણની સંખ્યા ૧૫૪૭૯ છે.દરરોજ કુલ ૨૧ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અંદાજીત કુલ ૧૨,૦૦૦ વ્યકિતઓને તૈયાર ભોજન બપોરે તેમજ સાંજે પૂરું પાડવામાં આવી રહેલ છે.૨૧ જેટલી એન.જી.ઓ.ના સહયોગ સાથે અત્યાર સુધીમાં ૧,૮૬,૦૧૭ જેટલા ફૂડ પેકેટસનું વિતરણ કરેલ છે. વહીવટીતંત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રાશનકીટ તથા ફૂડ પેકેટ્સનું કુલ ૨,૦૧,૪૯૬નું વિતરણ સમગ્ર જિલ્લામાં થયેલ છે.

અત્રેના જિલ્લા ડિઝાસ્ટર, પોલીસ તથા આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમની બહોળા પ્રમાણમાં જાણ થાય તે હેતુથી સ્થાનિક સમાચાર પત્રો, લોકલ/ કેબલ ટી.વી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ છે.

(1:05 pm IST)