Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

મધદરિયે ઝઘડા બાદ યમનના ક્રુમેમ્બરની જહાજમાં જ હત્યા

બનાવ આંતરરાષ્ટ્રીય જળસીમામાં થયો : મરનાર-મારનાર બન્ને વિદેશી : શું કરવું તેની સરકારમાં ચાલી રહેલી વિચારણાઃ જહાજ અલંગમાં ભંગાવા આવી પહોંચ્યું : લાશને ડીપફ્રીજમાં મૂકી દેવાઇ : આરોપીને કેબીનમાં કેદ કરી લીધો

જહાજમાં ખૂન : અલંગ જહાજવાડા ખાતે ભંગાવા આવી રહેલા જહાજમાં ક્રુમેમ્બરો વચ્ચે ડખ્ખો સર્જાતા એકની હત્યા થયાનો બનાવ બનવા પામ્યો છે.

ભાવનગર, તા. ૯ : ભાવનગર નજીકના અલંગશીપ બ્રેકીંગ યાર્ડ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજમાં ક્રુમેમ્બરો વચ્ચે મારામારી થતાં એક વિદેશી ક્રુમેમ્બરની હત્યા થઇ છે. બનાવની જાણ થતાં જ મરીન પોલીસ, કસ્ટમ્સ સહિતના સરકારી વિભાગોમાં દોડધામ મચી ગઇ હતી.

ખૂનના આ બનાવની મળતી વિગતો મુજબ અલંગ જહાજવાડામાં ભંગાવા માટે અંતિમ પોર્ટ યમનથી નીકળેલા જનરલ કોર્ગોના જહાજ ઓએસીસ-૩ ભાનવગર એન્કરેજ ખાતે આવી પહોંચ્યું હતું. આ જહાજનના કેપ્ટને જણાવ્યા મુજબ આ જહાજ અંતિમ પોર્ટ યમનથી તા. ર૪ ફેબ્રુઆરીએ અલંગ આવવા નીકળ્યું હતું અને અલંગ પાસે આંતરરાષ્ટ્રીય જળસીમામાં આવી પહોંચ્યું હતું. દરમ્યાન જહાજમાં બે ક્રુમેમ્બરો વચ્ચે કોઇ બાબતે ડખ્ખો સર્જાતા જહાજના રસોયા અને યમનના નાગરિકો અબ્દુલ હકિન

મોહસીનની અન્ય ક્રુમેમ્બર દ્વારા છરી મારી હત્યા કરવામાં આવી હતી. આરોપીને એક કેબીનમાં કેદ કરવામાં આવ્યા છે અને લાશને ડીપ ફ્રીજમાં રાખવામાં આવી છે.

આ અંગે કેપ્ટન મોહમ્મદ દાયેદ દ્વારા સંભવિત સરકારી એજન્સીઓ, ભારતમાં યમનના રાજદુતને જાણ કરવામાં આવી છે. આ જહાજ રવિવારે અલંગ પાસે આવી ગયું છે, પરંતુ કસ્ટમ્સ બોર્ડીંગ હજુ બાકી છે. બાદમાં ભાવનગર મરીન પોલીસ કાર્યવાહી હાથ ધરશે તેમ જાણવા મળેલ છે.

આ બનાવ અંગે અલંગ મરીન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એન.એમ. મંડેરાએ જણાવ્યું હતું કે જહાજ પર ખૂનનો બનાવ આંતરરાષ્ટ્રીય જળસીમામાં થયો છે. મરનાર અને મારનાર વિદેશી છે. માત્ર જહાજ અહીંયા આવ્યું છે. આ બનાવ અંગે શું કરવું તે અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે અને સબંધીત નિર્ણય લેવાયા બાદ કાર્યવાહી થશે.

(11:30 am IST)