Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

મોરબીના શકત શનાળાના માતાજીના મંદિરનું પાણી પીવાથી લોકો રહે છે નિરોગીઃ લોકવાયકા

મોરબી :કુવાના કાંઠે બેડા મુકીને ડોલ સાથે દોરડા બાંધીને કુવામાંથી પાણી સીંચીને બેડા ભરતી મહિલાઓને જોઇને સામાન્ય રીતે એવું લાગે કે આ ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ શરૂ થઇ ગઈ છે. જોકે, મોરબી નજીકના શકત શનાળા ગામે ઘરે ઘરે પાણી આવે છે અને આ ગામ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં પણ આ ગામની મહિલાઓ તેમના ઘરે પીવા માટે કુવામાંથી પાણી ભરીને લઈ જાય છે. મોરબી જિલ્લામાં શકત શનાળા ગામ આવેલું છે અને આ ગામમાં લોકોને ઘરે ઘરે પાણી આવે છે. તેમ છતાં પણ ગામના દરેક ઘરેથી મહિલાઓ ગામના મંદિર પાસે આવેલ એક કુવામાંથી પીવાના પાણી માટે દિવસમાં ઓછામાં ઓછુ એક બેડું ભરવા માટે આવે છે. કેમ કે લોકો માને છે કે,  માતાજીના મંદિરમાં આવેલા કુવાનું પાણી પીવાથી તે લોકો નિરોગી રહે છે. આ પાછળ એક લોકવાયકા છુપાયેલી છે.

કહેવાય છે કે, 1979માં હોનારત આવી હતી મોરબી તથા આસપાસના ગામમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હતી. જેતી શક્તિ માતાજીના મંદિરમાં આવેલ આ કુવામાંથી ડીઝલ મશીન મુકીને પાણી ખેચવામાં આવ્યું હતું અને લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું તેવું આદ્યશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું.

મોરબી નજીકના શકત શનાળા ગામે વર્ષો જુનું ઝાલા પરિવારના જન્મદાત્રી શક્તિ માતાજીનું મંદિર આવેલ છે. કહેવાય છે કે, ઈસુની 1156ની સદીમાં જ્યારે સોલંકી રાજ હતું, તે સમયે એક યુગ પુરુષ રાજ હરપળદેવ થઈ ગયા. જેમને સોલંકી રાજ પાસેથી ૨૩૦૦ પાદર એટલે કે ૨૩૦૦ ગામ મેળવ્યા હતા. જેમાં શનાળા ગામનો પણ સમાવેશ થાય છે. આ ગામમાં શક્તિ માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ મંદિરની બાજુમાં એક કુવો બનાવવામાં આવ્યો હતો. જેમાં આજની તારીખ સુધીમાં ક્યારેય પણ પાણી ખૂટ્યું નથી. એટલું જ નહિ, મોરબીના રાજવી પરિવાર માટે પણ વર્ષો પહેલા આ કુવામાંથી પીવા માટેનું પાણી મોકલાવવામાં આવતું હતું.

આજની તારીખે શનાળા શક્તિ માતાજીની શક્તિ પીઠની બાજુમાં જ આવેલા કુવામાંથી મિનરલ વોટર કરતા પણ વધુ શુદ્ધ પાણી મળે છે. તેથી જ ગ્રામજનો સહિતના લોકોને માતાજી ઉપર ખુબ જ આસ્થા અને શ્રદ્ધા હોવાથી આ કુવાનું પાણી તેમના ઘરે પીવા માટે લઇ જાય છે. આ કુવાનું પાણી લોકો તેના ઘરે ગરણામાંથી ગાળ્યા વગર જ પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે.

ગામના એક રહેવાસી નિરુભા ઝાલાએ કહ્યું કે, માં શક્તિની અસીમ કૃપાથી લોકોના દુખ દુર થયા છે. લોકવાયકા છે કે, મોરબીના રાજવી પરિવારની તો અહીના એક રાજવીને કોઈ અસાધ્ય બીમારી હતી, જે કોઈ રીતે મટતી ન હતી. જેથી ત્યારે કોઈ વૈદ્યે કહ્યું હતું કે, શકત શનાળા ગામે આવેલ કુવાનું પાણી પીવાથી ફાયદો થશે. તેથી મોરબી રાજવી પરિવારના લખધીરસિંહ બાપુ સુધી શક્તિ માતાજીના મંદિરથી જ પાણી રાજવી પરિવારના ઘરે જતું હતું. એટલું જ નહિ તે સમયે તો રાજવી પરિવાર જો મોરબી બહાર જવાનો હોય તો જેટલા દિવસનું ત્યાં રોકાણ હોય તેટલા દિવસનું પાણી શક્તિ માતાજીના મંદિરેથી તેની સાથે લઇ જતા હતા.

વાત કરીએ વર્તમાન સમયની તો, ગામના અન્ય એક રહેવાસીએ ઈલાબેન પરમારે કહ્યું કે, શનાળા ગામ આર્થિક રીતે ખુબ જ સંપન્ન ગામ છે. જેથી લોકોના ઘરે પાણી આવે છે. અનેકોના ઘરમાં RO પ્લાન્ટ લગાવેલા છે. તેમ છતાં દરેક પરિવાર દિવસમાં ઓછામાં ઓછુ એક બેડું પાણી આ કુવામાંથી ભરીને ઘરે લઇ જાય છે. શક્તિ માતાજીનું મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. માટે દૂર દૂરથી લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે. જતા સમયે પ્લાસ્ટિકની બોટલ કે પછી અન્ય કોઇપણ પાત્રમાં કુવાનું પાણી ભરીને સાથે લઇ જાય છે. લોકો ઘરના પાણીમાં આ પાણીને મિક્સ કરી દે છે. જો વાત શ્રદ્ધાની હોય તો તેમાં પુરાવા ન હોય.

(4:23 pm IST)