Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રંધોળામાં શિક્ષિકા પત્‍નિની હત્‍યા કરી નાસી રહેલા પતિનું વાહન હડફેટે મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯: ઉમરાળા તાલુકાના રંધોળા ગામમાં પતિ-પત્‍ની વચ્‍ચે ઘરેલું ઝઘડાનો કરૂણ અંજામ આવ્‍યો હતો.અરેરાટી સાથે આઘાત જન્‍માવે તેવી ઘટનામાં રંધોળાનીᅠ ઓમકાર સ્‍કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાની ઘરેલુ ઝઘડામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્‍યા કરી ફરાર થવા જતા પતિનું રંધોળા ગામ નજીક અજાણ્‍યા વાહન અડફેટે મોત નીપજયું હતું.આ ઘટના અંગે ઉમરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.ᅠ

વિગતો મુજબ રંધોળા ગામમાં આવેલ ઓમકાર સ્‍કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા અને સ્‍કૂલના સ્‍ટાફ ક્‍વાર્ટરમાં રહેતા મોનિકાબેન અનિલકુમાર જૈન (ઉં. વ.૩૫ ) ને તેના પતિ અનિલકુમાર જૈન સાથે અવારનવાર ઝઘડો થતો હતો.ગત રાત્રીના ૧૦ વાગ્‍યા આસપાસ પણ દંપતી વચ્‍ચે કોઈ બાબતે ઝઘડો થતા વાત વણસી હતી અને ઉશ્‍કેરાઈ ગયેલા અનિલ જૈનએ તેના પત્‍ની મોનિકાબેનને તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે તેમજ કપાળ અને હાથના ભાગે આડેધડ ઘા ઝીંકી દેતા ગંભીરરીતે ઇજાગ્રસ્‍ત મોનિકાબેનને સારવાર અર્થે પ્રથમ સિહોર અને ત્‍યાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતા તેમનું ટૂંકી સારવાર દરમિયાન રાત્રીના ૧૨ વાગ્‍યા આસપાસ મોત નીપજયું હતું.

બીજી તરફ પત્‍નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ફરાર થઈ ગયેલ અનિલકુમાર જૈનનું પણ રંધોળા નજીક કોઈ અજાણ્‍યા વાહન અડફેટે ગંભીર ઇજા થવાથી મોત નીપજયું હતું.

કર્મનો ખેલ ગણો કે કુદરતનો ન્‍યાય,ઘરેલું ઝઘડામાં પતિ અને પત્‍નીના અકાળે કમોતની અરેરાટી ઉપજાવે તેવી ઘટના અંગે સ્‍કૂલના હિતેશભાઈ કનૈયાલાલ દવેએ ઉમરાળા પોલીસમાં જાહેર કરતા ઉમરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:12 pm IST)