News of Friday, 9th February 2018
પોરબંદર તા.૯ : રેલ્વે સ્ટેશનની પાસે ભીમનાથ મહાદેવ મંદિર, અન્નક્ષેત્ર દ્વારા દરરોજ અહી ૧૫૦ થી ૨૦૦ લોકોની જઠરાગ્નિ તૃપ્ત થાય છે. સાધુ સંતો, ભીક્ષુકો, યાત્રાળુઓ અને દીન દુખીયા ગરીબો અને રખડતા ભટકતા પાગલોને પણ અહી સાંજે એક ટાઇમ ૬:૩૦ થી ૯:૩૦ સુધી ભોજન પ્રસાદ એક ટાઇમ મળવાથી લોકોની જઠરાગ્નિ તૃપ્ત થાય છે અને અહી સાંઇબાબા, ભીમનાથ મહાદેવ અને જલારામ અને બાપાસીતારામ, મામદેવ વિગેરે દેવોનાં મંદિરની સ્થાપના કરેલ હોય જેથી ગુરૂવારે અહી ૧૦૦૦ થી ૧૫૦૦ લોકો પ્રસાદનો લાભ લે છે. અહીં દરરોજ ખીચડી, શાક, સંભારો, છાશ અને રોટલી તેમજ ગુરૂવારે મિષ્ટાન ભજીયા ચણાનો સમાવેશ કરવામાં આવે છે.
આ ભગીરથ કાર્ય દાતાઓના તેમજ સેવાભાવીના સહકારથી તુલસીભાઇ મકવાણા દ્વારા ચલાવવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષથી ચલાવવામાં આવે છે. આ તુલસીભાઇ રેલ્વેના નિવૃત કર્મચારી છે અગાઉ જયારે નોકરી કરતા ત્યારે જયારે સમય મળે ત્યારે દરરોજ સાંજે પોતાની આવકમાંથી સૌ પ્રથમ ખીચડી અને કઢીની ડોલ લઇને રેલ્વે સ્ટેશન પાસે જ ફેરા કરતા હતા. ત્યારે અમુક લોકો તેની હાંસી પણ ઉડાવતા હતા કે તુલસી તુ કેટલાક દીવસ આ ખીચડી કઢીની ડોલ લઇને આમ ફેરા કરીશ પછી ધીરે ધીરે રેલ્વે સ્ટેશન પાસે મંદિર હતુ ત્યાંજ તુલસીભાઇએ અન્નક્ષેત્રનું આયોજન કરેલુ અને હાલ દરરોજ ૧૫૦ થી ૨૦૦ લોકોની આંતરડી ઠારે છે.
ભીમનાથ મહાદેવ અન્નક્ષેત્રમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરાનો સમાવેશ કરવામાં આવેલ છે અને પોરબંદરમાં કોઇ ધર્મશાળા સાધુ સંતો માટે ન હોવાથી અહી સાધુ સંતો અને ગરીબ, યાત્રાળુઓને રાત્રીનો આશરો મળી રહે છે. અને રખડતા ભટકતા પાગલોને પણ ભોજન મળતું હોવાથી તુલસીભાઇ દુઃખીયાના બેલી તરીકેની છાપ ધરાવે છે. અને આજે આપણું કાઠીયાવાડ દુનિયામાં પ્રખ્યાત છે કે સાહિત્યકારો પણ એની વ્યાખ્યન આપે છે કે ભુલો પણ તો હે ભગવાન કાઠીયાવાડમાં પડજે બાપ
અહી અન્નક્ષેત્રનો હેતુ જગત કલ્યાણનો હોય ભુખ્યાને રોટલો અને યાત્રાળુને રાત્રીવાસની નિસ્વાર્થ સેવા કર્મયોગી અહી અન્નક્ષેત્રનો મુખ્ય હેતુ ફકત ગરીબ યાત્રાળુઓ માટે રાત્રી વિસામો નિશુલ્ક કરી શકે છે. દે ઉસકા ભલા અને ના દે ઉસકા ડબલ ભલા.
પોરબંદર ગાંધી જન્મભુમિ તેમજ સુદામા નગરી તરીકે પ્રસિધ્ધ હોય જેથી યાત્રાળુઓનો તેમજ પ્રવાસીઓનો ઘસારો રહેતો હોય અને લાંબા અંતરની ટ્રેનો અહી રાત્રે વહેલા મોડી આવતી હોય અને રાત્રીના સમયે કોઇ ગરીબ યાત્રાળુઓને રઝળપાટ કરવી ન પડે એવા હેતુથી અહી માત્ર યાત્રાળુઓ માટે રાત્રી આશરો મળી રહેશે કારણે કે અગાઉ સુદામા મંદિરના દરવાજા બહાર ગેટ પાસે યાત્રાળુઓ એ સુવુ પડયું હતું જેથી તે ધ્યાને લઇ આ ભગીરથ કાર્ય જાહેર કરેલ છે. અને આનો મુખ્ય હેતુ સર્વ જન હિતાય, સર્વ જન સુખાય.