Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મુખ્યમંત્રી વિજયભાઇ હસ્તે ભુજમાં ૨૦૦ કરોડના ખર્ચે લેવા પટેલ સમાજની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત

વતનના ૨૧ લાખ ભાઈ ભાંડુઓ માટે કિડની, કેન્સર, હૃદયરોગ, આયુર્વેદની સારવાર માટેની આધુનિક હોસ્પિટલના નિર્માણ માટે કચ્છી લેવા પટેલ સમાજના દાતાઓ મન મૂકીને વરસ્યા

(ભુજ) રાજ્યના છેવાડાના જિલ્લા કચ્છમાં આરોગ્ય સેવા ક્ષેત્રે રહેલી મુશ્કેલી નિવારવા કચ્છી લેવા પટેલ છેલ્લા દસ વર્ષથી પ્રયત્નશીલ છે. ભુજમાં દસ વર્ષથી કાર્યરત લેવા પટેલ હોસ્પિટલની રાહતદરની સેવાનો લાભ વર્ષે ત્રણ લાખ લોકો લઈ રહ્યા છે, અત્યારે કચ્છની આરોગ્ય સેવાને વિસ્તૃત કરવા કચ્છી લેવા પટેલે પહેલ કરી છે. કચ્છમાં આજે જે આરોગ્ય સેવાઓની ઉણપ છે, તે આરોગ્ય સેવાઓ હૃદયરોગ, કિડની, કેન્સર તેમ જ આયુર્વેદની હોસ્પિટલનું ભૂમિ પૂજન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,તેમ જ મુખ્યદાતા કે.કે. પટેલના હસ્તે થયું હતું. કાર્યક્રમના પ્રારંભે સંચાલન કરતા યુવા તેજસ્વી પત્રકાર વસંત પટેલે ૨૦૦ કરોડના ખર્ચે ભુજમાં બની રહેલ આ હોસ્પિટલની રૂપરેખા આપીને કચ્છી પટેલ સમાજના દાતાઓના વતનપ્રેમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું ખાસ કણબી પાઘ દ્વારા સન્માન કરાયું હતું. ઉપસ્થિત જન સમુદાયને સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આરોગ્ય સેવાનું સરકારનું કામ કરવા બદલ કચ્છી લેવા પટેલ સમાજને અભિનંદન આપીને એનઆરઆઈ દાતાઓ, કચ્છના દાતાઓ, સંતોની પ્રેરણા સાથે થઈ રહેલા માનવસેવાના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ હેલ્થ પોલીસી થકી લોકો માટે આરોગ્ય સેવા વધુ સારી બની હોવાનું જણાવ્યું હતું. તો, સંસ્થા દ્વારા બનતી આવી હોસ્પિટલો માટે જરૂરી સાધનો, મશીનરી વગેરેમાં રાજ્ય સરકાર દ્વારા ૨૫ % ની મદદ કરતી હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં વર્તમાન સમયમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે કોલેજની સંખ્યા વધીને ૨૯ થઈ હોવાનું અને વર્ષે ૫૫૦૦ જેટલા નવા તબીબો ઉત્તીર્ણ થતાં તબીબી ક્ષેત્રે લોકો માટે પણ આરોગ્ય સેવા વધુ સુલભ બની રહી હોવાનું જણાવ્યું હતું. સંપૂર્ણ મફત આરોગ્ય સેવા આપતી હોસ્પિટલ માટે રાજ્ય સરકાર રીકરીંગ તરીકે વાર્ષિક નાણાકીય સહાય કરતી હોવાનુજણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી ધર્મનંદનસ્વામી, પાર્ષદશ્રી જાદવજી ભગત, ખોડલધામના નરેશ પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, રાજયમંત્રી વાસણ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, સંતોકબેન પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા, હંસરાજભાઈ ગજેરા, દિલીપ ત્રિવેદી, મુકેશ ઝવેરી, કચ્છી લેવા પટેલ સમાજના આગેવાનો કે.કે. પટેલ, નિતેશ વેકરીયા, મુળજીભાઈ પિંડોરીયા, ગોપાલભાઈ ગોરસિયા, ડો. જે. કે. દબાસિયા, પ્રવીણ પિંડોરીયા, શિવજીભાઈ છભાડીયા, અરવિંદ પીંડોરીયા, મુળજીભાઈ શિયાણી, માવજી રાબડીયા ઉપરાંત આફ્રિકા, યુકે અને કચ્છના લેવા પટેલ સમાજના આગેવાનો, જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(12:57 pm IST)