Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

કોડિનાર: 16 વર્ષની છોકરીની હત્યાનો ભેદ ખૂલ્યો, પિતા-પુત્રની ધરપકડ

રાજકોટ: કોડિનારમાં 16 વર્ષની છોકરીને ચાકૂના 37 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારનારા સગા બાપ-દીકરાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક કિશોરીની હત્યા કરનારો કશ્યપ પુરોહિત તેની સાથે જ અભ્યાસ કરતો હતો, પરંતુ તેણે તાજેતરમાં જ ભણવાનું છોડી દીધું હતું. પોલીસને શંકા હતી કે મૃતક પર રેપ થયો હોઈ શકે છે, જોકે પીએમ રિપોર્ટમાં તેની શક્યતા નકારી દેવાઈ હતી.

હત્યારો કશ્યપ મૃતક વિનિશા ઠક્કરના એક તરફી પ્રેમમાં હતો. તે વિનિશા સમક્ષ પોતાના પ્રેમનો પ્રસ્તાવ પણ મૂકી ચૂક્યો હતો, જેને વિનિશાએ ફગાવી દીધો હતો. 5 નવેમ્બરે સાંજે કશ્યપે ધરતી જયપ્રકાશ નામની એક યુવતીની મદદથી વિનિશાને બહાર બોલાવી હતી. તે વખતે ઉના બાયપાસ રોડ પર આવેલા શિવ મંદિર નજીક તેણે વિનિશા સમક્ષ ફરી પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો.

જોકે, વિનિશાએ તેને ફગાવી દેતા ઉશ્કેરાઈ ગયેલા કશ્યપે ચાકૂના ઘા મારીને વિનિતાની હત્યા કરી નાખી હતી. આ ઘટનાની જાણ તેના પિતાને થતાં તેમણે પણ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, અને જે હથિયારથી વિનિતાની હત્યા કરાઈ હતી તેને છૂપાવી દીધું હતું. એટલું જ નહીં, વિનિશાના પરિવારજનો જ્યારે તેને શોધવા કશ્યપના ઘરે આવ્યા ત્યારે તેમણે તે ત્યાં આવી હોવાનો ઈનકાર કરી દીધો હતો.

વિનિશાના પરિવારજનોને કોઈ શંકા ન જાય તે માટે કશ્યપનો પરિવાર પણ તેને શોધવા માટે તેમની સાથે જોડાયો હતો. પોલીસે આ મામલે કશ્યપ, તેના પિતા તેમજ વિનિશાને બહાર બોલાવનારી યુવતીની પણ ધરપકડ કરી છે. મૃતકનો પરિવાર હત્યારાના પરિવારને સારી રીતે ઓળખતો હતો. કશ્યપના પિતા વિનિશાના ઘરે પૂજાપાઠ કરવા પણ જતા હતા.

(2:37 pm IST)