Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

લોધીકાનાં દેવળાની સીમમાં વિપુલ પટેલની કુહાડી ઝીંકી હત્યા

રાત્રે વાડીમાં સુતેલા ખેડૂત વિપુલ વલ્લભભાઇ સંખારવા પટેલ (ઉ. ૩પ)ની લોહીમાં લથપથ લાશ મળીઃ અંગત અદાવતમાં હત્યા થયાનું તારણ : હત્યાનો ભોગ બનનાર વિપુલ બે ભાઈઓમાં મોટો હતોઃ નાના ભાઈને મેટોડામાં એગ્રોની દુકાન છેઃ એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવીઃ હત્યારા અને હત્યાના હેતુ અંગે રહસ્યના આટાપાટા

રાજકોટ તા. ૮ :. રાજકોટ-કાલાવાડ રોડ પર આવેલ લોધીકા તાલુકાના દેવળા ગામની સીમમાં વાડીએ રાત્રે સુતેલા ખેડૂત યુવાનની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રીના લોધીકાના દેવળા ગામમાં રહેતા ખેડૂત વિપુલ વલ્લભભાઇ સંખારવા (ઉ. ૩પ) ગઈકાલે રાત્રે પોતાની વાડીએ ઓરડીમાં સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેના ઉપર કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટયા હતા. આજે સવારે વાડીએ વિપુલ સંખારવા (પટેલ)ની લોહીમાં લથપથ હાલતમાં લાશ જોવા મળતા આ અંગે લોધીકા પોલીસને જાણ કરાતા મહિલા પીએસઆઈ એચ.પી. ગઢવી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકની લાશને પીએમ માટે લોધીકા હોસ્પીટલે ખસેડી હતી. બનાવની જાણ થતા રૂરલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એમ.એન. રાણા સ્ટાફ સાથે દોડી ગયા હતા. ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતો અને ડોગ સ્કવોડ પણ દોડી ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર વિપુલ સંખારવા (પટેલ) બે ભાઈઓમાં મોટા હતા અને તેના નાના ભાઈને મેટોડામાં એગ્રોની દુકાન છે. સંતાનમાં એક પુત્ર છે. મૃતક વિપુલના ખિસ્સામાંથી કે ઓરડીમાંથી અન્ય કોઈ વસ્તુઓ ગાયબ ન જણાતા તેની હત્યા લૂંટના ઈરાદે નહિ પણ અંગત અદાવતમાં થઈ હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતક વિપુલને દેવડા ગામે ૧૦ વિઘા જમીન છે અને આ જમીન વાવીને તે પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની કોણે અને કયા હેતુથી હત્યા કરી ? તે અંગે રહસ્યના આટાપાટા સર્જાયા છે. વધુ તપાસ લોધીકાના મહિલા પી.એસ.આઈ. એચ.પી. ગઢવી ચલાવી રહ્યા છે.

(3:40 pm IST)