Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

શહીદ વીર જવાન ભાવેશ રાઠોડનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન

ચોટીલા અને કુંઢડા ગામ બંધ : મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા : શૌર્યગીતો અને રાષ્ટ્રભકિતના ગીતોનું ગાન

ચોટીલા, તા. ૮ : ચોટીલા તાલુકાના કુંઢડા ગામના ભાવેશ રાઠોડ શહીદ થતા તેમના પાર્થિવદેહને આજે વતન કુંઢડા ગામમાં માનભેર લાવવામાં આવ્યા બાદ અંતિમવિધી કરવામાં આવી હતી.

આજે પાર્થિવદેહ ચોટીલા લવાયા બાદ ચોટીલાથી કુંઢડા ગામ સુધી અંતિમયાત્રા નીકળી હતી જેમાં રાષ્ટ્રગીતો અને શૌર્યગીતોનું ગાયન કરાયું હતું.

અંતિમવિધીમાં ચોટીલા અને કુંઢડાના રાજકીય-સામાજીક આગેવાનો, કાર્યકરો જોડાયા હતા અને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ચોટીલા ગામ અડધો દિવસ અને કુંઢડા ગામ આખો દિવસ બંધ રહ્યું હતું.

ચોટીલા તાલુકાના કુંઢડા ગામના આર્મીમાં ફરજ બજાવતા જવાન શ્રીનગર ખાતે આકસ્મિક બનાવથી શહીદ થતાં નાનાકડા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. ચોટીલાથી દોઢ કિલોમીટર દૂર કુંઢડા ગામ આવેલું છે. આ ગામના સાતથી આઠ યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે. જેમાં તળપદા કોળી સમાજના ધીરૂભાઇ ચોથાભાઇ રાઠોડનો પુત્ર ભાવેશ રાઠોડ ૩ વર્ષ પહેલા આર્મીમાં જોડાયો હતો જેનો ગુરૂવારના સવારે આકસ્મિક બનાવથી શહીદ થયા હોવાના આર્મીના અધિકારીઓ દ્વારા ટેલીફોનીક વાતચીતથી પરિવારને જાણ કરતા સમગ્ર ગામમાં શોક છવાઇ ગયો હતો.

શહીદ જવાન તેના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો જે દેશની રક્ષા કાજે આમીમાં જોડાયો હતો. જેની ઉંમર રર વર્ષની છે અને અપરિણિત છે. કુટુંબમાં તે ચાર બહેનો વચ્ચે એક ભાઇ હતો. તેનું પ્રથમ પોસ્ટીંગ ઉત્તર પ્રદેશ થયેલ ત્યારબાદ આસામ, અરૂણાચલપ્રદેશ અને છેલ્લે દોઢ બે માસ અગાઉ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના બાંદીપુરા ખાતે ર૩ મરાઠા બટાલિયનમાં ફજર બજાવતા હતાં.

શ્રીનગર ખાતે આકસ્મિક ઘટનાની ફોજમાં જાણ થતાં આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કરતા તેનું પી.એમ. કરવામાં આવ્યું હતું. જરૂરી કાર્યવાહી બાદ તેનો મૃતદેહ માદરે વતન પહોંચાડાયો હતો.

(11:40 am IST)