Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ફાની વાવાઝોડા બાદ ફસાયેલા જામનગરના મુસાફરો પરત ફરતા ખુશાલી છવાઇ

જામનગર :ફાની તોફાનમાં ફસાયા તેવા તમામ મુસાફરો જામનગર પરત ફર્યાં છે. તમામ મુસાફરો માટે રાયપુર વહીવટી તંત્રે પૂરજોશમાં વ્યવસ્થા કરી હતી અને તમામ મુસાફરો પરત ફર્યાં છે. મુસાફરો ટ્રેન અને બસના માધ્યમથી જામનગર આવી રહ્યા છે. ફાનીમાં ફસાયેલા તમામ મુસાફરો પરત ફરતાં તેમના સ્વજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. આ મામલે લોકોએ ગુજરાતના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા કલેક્ટરની સરાહનીય કામગીરી બિરદાવી હતી.

જામનગરથી પુરી જાત્રાએ ગયેલ ઓરિસ્સામાં ફોની વાવાઝોડામાં ફસાયેલા 375 યાત્રાળુઓ માંથી 50 યાત્રાળુઓ બસ મારફતે મોડી રાત્રે આખરે જામનગર હેમખેમ પરત ફર્યા હતા. ત્યારે પરિવારજનો દ્વારા ફુલહાર કરી યાત્રાળુઓનું સ્વાગત કરાયું હતું. પણ, આ સમયે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. હેમખેમ પરત આવેલા પોતાના સ્વજનોને જોઈને લોકોની આંખમાંથી આસુ વહી ગયા હતા, તો બીજી તરફ હરખની લાગણી પણ હતી.

ઓરિસ્સામાં આવેલા ચક્રવાત ફોનીની વાવાઝોડામાં જામનગરના 400થી વધુ યાત્રાળુ ફસાયા હતા. જેની જાણ થતા જ જામનગર સહિત ગુજરાતભરનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. વાવાઝોડામાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ પરત લાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને જામનગરના જિલ્લા કલેક્ટર સહિતના વહીવટી તંત્રએ કવાયત હાથ ધરી હતી. ત્યારે વ્યવસ્થા કરાવીને આખરે ગત રાત્રિના રોજ બસ મારફતે 50 જેટલા યાત્રાળુઓ જામનગર લાવવામાં આવ્યા હતા.

બસમાંથી ઉતરીને તમામ યાત્રાળુઓએ વાવાઝોડા સમયના પોતાના સુખદુખના સંસ્મરણો વાગોળ્યા હતા. તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા કરાયેલ વ્યવસ્થા અને આયોજન બદલ પણ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હજી પણ કેટલાક મુસાફરો ઓરિસ્સામાં છે, જેઓને ટ્રેન મારફતે પરત લાવવામાં આવશે. આમ, જામનગરમાં ગઈકાલે સ્વજનોના ખુશીથી છલકાતા ચહેરા જોવા મળ્યા હતા. 

(5:08 pm IST)