Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જામનગર જી.જી.હોસ્પિટલમાં એક વર્ષમાં ૪૩૫ બાળકોના મોત

નવજાત શિશુના મોત ન થાય તે માટે સરકાર ખૂબ ચિંતીત-આગામી સમયમાં હોસ્પિટલમાં યોગ્ય વ્યવસ્થા ઉભી કરાશેઃસુપ્રિટેન્ડન્ટ નંદિની બહારી

જામનગર, તા.૮: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી એવી સરકારી જીજી હોસ્પિટલમાં પણ છેલ્લા એક વર્ષ દરમિયાન ૪૩૫ જેટલા નવજાત શિશુ ના મોત થયા છે. જેને લઈને જીજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ નંદિની બહારી દ્વારા આજે પત્રકાર પરિષદમાં નવજાત શિશુના મોત અંગેની માહિતીઓ આપવામાં આવી હતી.

જીજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ નંદિની બહારી દ્વારા પત્રકાર પરિષદમાં વિગત આપતા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન ૧૦ હજારથી પણ વધુ સગર્ભાવસ્થા મહિલાઓની ઓપીડી કરવામાં આવી છે. જેમાંથી સાડા નવ હજારથી પણ વધુ મહિલા દર્દીઓની ડિલિવરી ખૂબ સારી રીતે કરવામાં આવી. નવજાત શિશુના મોત મામલે મોટાભાગના અધૂરા મહિને જન્મેલા હોય અથવા એક કિલોથી ઓછું વજન હોય તેમજ જન્મજાત ખોટ હોય તેવા શિશુઓનો સમાવેશ થાય છે.

તેઓને જામનગર સરકારી નહિ જ, પરંતુ કોઇ પણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે તો મેડિકલની રીતે બચાવી ન શકાય આવા ૪૩૫ જેટલા નવજાત શિશુઓનાં મોત થયાં છે. જે ખુબ દુખની વાત છે. પરંતુ આ મુદ્દો ખૂબ જ સંવેદન છે અને આ પ્રકારના નવજાત શિશુનાં મોત ન થાય તે માટે સરકાર પણ ખૂબ ચિંતિત છે અને તે બાબતે આગામી સમયમાં જીજી હોસ્પિટલ દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.

જયારે ગત મહિનામાં પણ નવજાત શિશુના મોતનો આંકડો જેટલો હતો અને ખાસ કરીને હાલ જયારે શિયાળાનો સમય ચાલી રહ્યો હોય ત્યારે નવજાત શિશુને શિયાળાની ઠંડીની અસર વ્યાપક પ્રમાણમાં થતી હોય છે. જેથી ચાલુ જાન્યુઆરી મહિનામાં પણ મોતનો આંકડો થોડો વધારે જોવા મળી રહ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં સરેરાશ દર મહિને ૩૦થી પણ વધુ નવજાત શિશુનાં મોત થતો હોવાનું ખુદ જીજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સ્વીકાર્યું હતું.

જીજી હોસ્પિટલના સ્ત્રી વિભાગમાં હજી ઘણી ઉણપ હોવાનું પણ સુપ્રિટેન્ડન્ટ સ્વીકારીને તે માટે ડોકટરની અછત છે, તે પણ તાત્કાલિક પૂરી કરવામાં આવશે તેવું જણાવ્યું. જયારે કે, જીજી હોસ્પિટલના મહિલા પ્રસૂતિ વિભાગમાં મહિલા સગર્ભા દર્દીઓને કલાકો સુધી હેરાન થવું પડે છે. તે અંગે પણ ઓછી સગવડતા હોસ્પિટલમાં હોવાનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે, હજુ થોડાં ડોકટર અને સ્ટાફની અસુવિધા છે. આ મામલે રાજય સરકારને જાણ કરવામાં આવી છે અને જો પૂરતો સ્ટાફ અને ડોકટરો પણ મળી રહે તો આ પ્રમાણે સગર્ભા મહિલાઓને થતી હેરાનગતિ પણ દ્યટી શકશે. જોકે રાજય સરકાર દ્વારા પ્રસૂતિ વિભાગ માટે રૂપિયા ૨૫ કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે અને તેની કાર્યવાહી પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. તેમ 'ઝી ન્યુઝ' ના અહેવાલમાં જણાવાયુ છે.

(10:52 am IST)