Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

દેવભુમી દ્વારકા જીલ્લાનાં ખેડુતોને પાક વિમો-ટેકાનાં ભાવમાં ૩૦૦થી ૪૦૦ કરોડનું નુકશાનઃ ખંભાળીયામાં ખેડુતોની રેલી-આવેદન

ખંભાળીયા, તા., ૭: ખેડુતોને પાક વિમા અને ટેકાના ભાવે ખરીદીમાં અન્યાય મુદ્દે આજે ખંભાળીયામાં મગફળીની ખરીદી સહીતના મુદ્દે ખેડુતો દ્વારા રેલી તથા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

દેવભુમી દ્વારકા જિલ્લામાં આવતીકાલે જોધપુર ગેઇટ વિભાગમાં ખેડુતોએ ટેકાના ભાવ તથા પાક વીમામાં થતા ગોટાળામાં ખેડુતોને ૩૦૦ થી ૪૦૦ કરોડનું મોટુ નુકશાન  થનાર હોય ખેડુત હિત રક્ષક સમીતીના પાલભાઇ આંબલીયાએ ભારે રોષ વ્યકત કર્યો હતો.

હાલ ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે તેમાં એટલુ ધીમુ ચાલે છે કે ૮૦૬૮૪ ટન જિલ્લામાં ખરીદી થવાની છે તેમાં ૧૮ દિવસમાં ર૭૯૦ ટનની જ ખરીદી થઇ છે. જેથી આજ ગતી ચાલુ રહે તો ૯૦ દિવસમાં ખરીદી માત્ર ૧૩૯પ૦ ટન જ થાય તો ખેડુતોની ૬૬૭૩૪ ટન ખરીદી વગરની મગફળી પડી રહે જેમાં ખેડુતોને બજાર ભાવ પ્રમાણે ૧૦૦ કરોડનું નુકશાન થાય. જેમાં ખેડુત પપ હજાર જેટલુ નુકશાન થાય તેમ છે.

દેવભુમી જિલ્લામાં ક્રોપ કટીંગના અખતરામાં વીમા કંપનીએ ૩૦૦ પાક કાપણીને શંકાસ્પદ ગણાવી છે જેથી તેમાં હાલ ચુકવણીના થાય! જો આ કોર્ટ મેટર થાય તો છ માસથી છ વર્ષ ચુકવણીમાં મોડુ થાય આમ દાવો હોય તેનાથી ઓછો મળે તો ૩૦૦ થી ૪૦૦ કરોડ રૂપીયા ખેડુતોને ઓછા મળે.

ખેડુતોને જિલ્લામાં ટેકાના ભાવ તથા પાક વિમામાં ૪૦૦ કરોડનું નુકશાન થાય  તેમ હોય સંગઠીત થવા હાકલ કરી છે.

ખેડુત હિતરક્ષક સમીતીના પાલભાઇ આંબલીયા,જીવાભાઇ કનારા, દેવુભાઇ ગઢવીએ ખેડુતોને આહવાન આપતા મોટી સંખ્યામાં ખેડુતો આજે ઉમટી પડયા હતા તથા ખેેડુતોએ રેલી કાઢીને જોધપુર ગેઇટથી કલેકટર કચેરીએ પહોંચીને બન્ને ગૃપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પાલભાઇ આંબલીયા રાજયના ખેડુત અગ્રણીઓ, રતનસિંહ ડોડીયા, બળવંતસિંહ કુલદીપસિંહ સગર, જી.કે.પટેલ તથા અગ્રણીઓએ ખેડુતોને થતી પરેશાની પાક વિમા અને ટેેકાના ભાવના સંઘર્ષમાં વર્ણવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડુતો જોડાયા હતા.

દેવભુમી દ્વારકા જિલ્લામાં જે ૮૦૮૬૪ મેટ્રીક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદીનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે તથા ૯૦ દિવસમાં ખરીદીનું લક્ષ્યાંક રખાયું છે. પણ માર્ગદર્શક  નિયમો પ્રમાણે કંઇ થતુ જ નથી જેથી ૧૯ દિવસમાં ૧૦ ટકા પણ ખરીદી થઇ નથી. ૧૦-૧૦ વજનકાંટા તથા તોલાટ માટે વ્યકિતઓ અને પ-પ ગ્રેોટની ટીમના બદલે ૧/૨ માણસોથી કામ ચલાવાય છે જેથી ૯૦ દિવસના ખરીદીના બદલે ૮૦૦ દિવસ સુધી પણ આ જથ્થો ખરીદીના થાય તેવું છે! ૯૦૦ ટન ખરીદીના બદલે ૧પ૦ થી ર૦૦ ટન ખરીદી જ થાય છે અને જે નિયમો બનાવ્યા છે તેમા યોગ્ય આયોજન ન હોય અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. હજી ૭૬૦૦૦ ટન મગફળીની ખરીદી બાકી છે તો જિલ્લા કલેકટરને આખરી સત્તા આપવામાં આવી હોય રોજ ૨૦૦ ખેડૂત બોલાવવા પડે તો પણ આ રીતે બોલાવવા આયોજન કરીને તાકીદે માધ્યમોથી જાણ કરીને ખેડૂતોને અંદાજે ૧૦૦ કરોડથી વધુ નુકશાન થાય તેમ હોય 'જગતનો તાત' અછત દુષ્કાળ અપુરતા વરસાદમાં હેરાન થયો હોય વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે.

ખેડૂતોમાં જાગૃતતા આવીને કંપનીએ ખેડૂતના ખેતર સુધી જવુ પડયુ છે ત્યારે જિલ્લાના વડા અધિકારીઓ ક્રોપ કટીંગ થયું હોય તો શંકાસ્પદ ગણવુ તે કયાંનો ન્યાય ? દ્વારકા તાલુકાના મોટા ભાવડા ગામે ક્રોપ કટીંગમાં ગાંધીનગરથી આવેલ રાજ્યકક્ષાના ખેતીવાડી અધિકારીની ઉપસ્થિતિમાં ક્રોપ કટીંગ થયું તે પણ શંકાસ્પદ ગણાવાયુ !!

ખંભાળિયા તાલુકામાં ટી.ડી.ઓ., સલાયામાં વિસ્તરણ અધિકારી, પીપળીયામાં આંકડા અધિકારી, કોઠા વિસોત્રીમાં સર્કલ ઈન્સ્પેકટર આવા આવા ટોચના અધિકારીઓએ ક્રોપ કટીંગમાં હાજર રહ્યા હોય તો શંકાસ્પદ કેમ ગણાય ?

શંકાસ્પદ માપણીમાં ખેડૂતોને દૂર રખાયા હતા છતા આક્ષેપ કરાયા છે કે ખેડૂતોએ નબળી મગફળી તેમા રાખી હતી અને અમારા ક્રોપ કટીંગના કર્મચારીઓને હેરાન કરીને મનગમતુ કરાવ્યું, કેટલીક જગ્યાએ તો સર્વે નંબર પણ કંપનીએ બદલાવી નાખ્યા છે.

(3:34 pm IST)