Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

માલણકા પાસે ૪૦ વર્ષ જૂનો બ્રિજ રિપેરિંગ અભાવે તુટ્યો

ગાડીઓ અને વાહનો પુલ તૂટતાં ખાબકયા : સ્થાનિક વનવિભાગે ડાઈવર્ઝન કાઢવા બે વર્ષથી મંજૂરી આપી નહોતી, જેથી હવે નવો વિવાદ સામે આવ્યો

અમદાવાદ, તા.૭ : જૂનાગઢ જિલ્લાના મેંદરડા-સાસણ રોડ પર માલણકા ગામ નજીકનો પુલ ગઇકાલે સાંજે અચાનક જ તૂટી પડ્યો તેમાં હવે ગંભીર માનવીય બેદરકારી સામે આવી છે જે માટે વનવિભાગ જવાબદાર હોવાની વાત સામે આવી રહી છે. નોંધનીય છે કે, વર્ષ ૧૯૭૯માં બનેલા આ ૬૦ ફૂટ લાંબા પુલના સમારકામ માટે છેક ૨૦૧૬ની સાલમાં ડાઈવર્ઝન આપવા વન વિભાગ પાસે મંજૂરી મંગાઈ હતી. પરંતુ વનવિભાગે ઘોર બેદરકારી દાખવીને ડાઈવર્ઝનની મંજૂરી નહી આપતા ગઇકાલે સાંજે આ પુલ અચાનક તૂટી ગયો હતો. પુલના ટૂકડા થઈ જતા ત્યાંથી પસાર થઇ રહેલી ત્રણથી ચાર કાર અને અન્ય વાહનો નીચે નાળામાં ખાબકયા હતા, જેમાં ૧૨ લોકોને વત્તા ઓછા અંશે ઈજા થઈ હતી. હાલ મેંદરડા સાસણનો માર્ગ બંઘ કરી દેવામાં આવ્યો છે. દરમ્યાન માલણકા ગામના સરપંચ ભૂપતભાઈ સસોરે જણાવ્યું કે, ગામની આગળ મધુવંતી ડેમ આવેલો છે, તેનું પાણી આ પુલ નીચેથી પસાર થાય છે. અહીંના અનેક નાના પુલિયા અને આ પુલ જર્જરિત હતા, જેમાં તાજેતરમાં નાના પુલિયા રીપેર કરાવ્યા હતા.

               પણ આ મોટો પુલ રીપેર કરવા માટે ડાયવર્ઝન કાઢવું પડે તેમ હતું. જેની વનવિભાગે મંજુરી ન આપતા તેનું કામ રહી ગયું હતું. જેથી આ પુલ તૂટી પડ્યો છે. હવે નાના વાહનને વાયા જલંધર અને મોટા વાહનને વાયા અજાબ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તો, માર્ગ અને મકાન વિભાગના સેક્સન ઓફિસર એન.બી.ભરખડાએ જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગને ફોરેસ્ટ વિભાગે મંજૂરી ન આપતા આ અકસ્માત થયો છે. વર્ષ ૨૦૧૬માં જ પુલના નવિનીકરણ માટે મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ ફોરેસ્ટ વિભાગ દ્વારા મંજૂરી ન અપાતા પૂલનું સમારકામ થયું ન હતું. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, એક માસ સુધી આ પુલ રીપેર થઇ શકે તેમ નથી. કારણ કે અહીં પાણીનો ભરાવો એટલો છે કે, નવો પુલ બનાવવો અથવા તો અહીં ડાયર્વઝન કાઢવું મુશ્કેલ છે. મધુવંતી ડેમનાં પાણીની ઝાપટો વાગવાને કારણે આ પુલ તૂટી ગયો છે. આ રસ્તો બંધ થતાં હાલ દેવળીયાનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે. દેવળીયાથી માળિયાહાટીના થઇ નેશનલ હાઇવે થઇ જૂનાગઢ આવી શકાશે. આ પુલ ૨૦-૨૦ ફૂટનાં ત્રણ કટકાથી જોડેલો હતો. જેમાંથી ૪૦ ફૂટનો પુલ તૂટી પડ્યો છે. આ ઘટનાની જાણ તંત્રને થતાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીનાં માર્ગદર્શનમાં ફાયર, ૧૦૮, વન વિભાગ, આરએન્ડબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. બીજીબાજુ, ઇજા પામેલા ૧૨ લોકોને સાસણ, મેંદરડા અને જૂનાગઢ  સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

(8:43 pm IST)