Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સુરેન્‍દ્રનગર જિલ્લામાં શસ્ત્રો-હથિયારો ધારણ કરવા, લઈ જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયારબંધી સહિત પ્રતિબંધાત્મક હુકમો જાહેર કર્યા છે. જે મુજબ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧-૦૭-૨૦૨૨ સુધી નગરપાલિકા વિસ્‍તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્‍તારમાં મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્‍ટ્રેટની અગાઉથી મંજૂરી મેળવ્‍યા સિવાય શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, બંદુક, લાકડી અને લાઠી, કુંડલીવાળી લાકડી તથા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા બીજા કોઈ પણ સાધનો ધારણ કરવા કે સાથે લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
 આ ઉપરાંત, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઓ ફેંકવા, વ્યકિતઓ અથવા તેમના પૂતળા, આકૃતિઓ કે શબ દેખાડવા, તૈયાર કરવા, સળગાવવા કે ફાંસી આપવા, સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા, સુરૂચિનો ભંગ થાય અથવા તો નીતિનો ભંગ થાય તેવું ભાષણ-ચેષ્ઠા કરવા, તેવા ચિત્રો-પત્રિકા, પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવા અથવા તેનો ફેલાવો કરવા સહિતની પ્રવૃતિઓની કરવા પર તેમજ અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવા, અશ્લીલ ગીતો ગાવા અથવા ટોળામાં ફરવા તેમજ કોઈ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવા સહિતની પ્રવૃતિઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
  આ પ્રતિબંધ સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉપરી અધિકારીએ આવું કોઈ હથિયાર લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઈ પણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય તેવી વ્યક્તિ તથા સક્ષમ સત્તાધિકારીઓ પાસેથી મંજૂરી મેળવેલ વ્યક્તિઓ અથવા જેને શારિરીક અશકિતના કારણે લાકડી, લાઠી, લઇ જવાની પરવાનગી આપવામાં આવી હોય તેવી વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહી. આ જાહેરનામાનાં ભંગ બદલ વ્યક્તિ ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ- 135 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

(10:54 am IST)