Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગીર સોમનાથ જીલ્લાના જસાધાર રેન્‍જમાં 2 બાળ સિંહ કુવામાં પડયાઃ ખેડૂતે વન વિભાગને જાણ કરતા જીવ બચ્‍યો

જુનાગઢ: ગુજરાતમાં ગીરના સિંહોના હવે જંગલ બહાર આંટાફેરા જોવા મળી રહ્યાં છે. આવામાં ગીર સોમનાથમાં કૂવામાં બે સિંહ બાળ પડવાની ઘટના બની હતી. જેમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા તેમનુ રેસ્ક્યૂ કરાયું હતું.

વન વિભાગે બચાવ્યો જીવ

વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સિંહના બે બચ્ચા ફટસર ગામના એક કૂવામાં સોમવારે પડી ગયા હતા. આ વિસ્તાર ગીરના જંગલોમાં ગીર ઈસ્ટ ડિવિઝનના જસધર રેન્જમાં આવે છે. રેસ્કયૂ બાદ તેમને જસધર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. હાલ આ સિંહના બચ્ચાઓની માતા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છીએ.

ડૂબવાથી ખુદને બચાવ્યા

ગીર ઈસ્ટ ફોરેસ્ટ ડેપ્યુટી કન્ઝર્વેટર અંશુમન શર્માએ કહ્યું કે, સિંહના આ બંને બચ્ચાની ઉંમર 8 થી 12 મહિના વચ્ચેની છે. સોમવારે રાત્રે તે એક ખુલ્લા કૂવામાં પડી ગયા હતા. જોકે, કૂવામાં પાણી હતું, પણ બંને બચ્ચા કૂવાની અંદર એક નાનકડી જગ્યામાં ઘૂસીને બેસ્યા હતા. જેથી તેમનો જીવ બચી ગયો હતો. સવારે એક ખેડૂતની નજર કૂવા પર પડી હતી. તેણે વન વિભાગને આ અંગેની જાણ કરી હતી. તેના બાદ રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં  આવ્યું હતું.

માતાને શોધવા સર્ચ ઓપરેશન

વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, કદાચ કોઈ શિકાર આ સિંહ બાળનો પીછો કરી રહ્યો હતો, તેથી આ બચ્ચા કૂવામાં પડ્યા હતા. હાલ અમે તેના માતાની શોધ કરી રહ્યાં છે. હાલ બંને એનિમલ કેર સેન્ટરમાં સુરક્ષિત છે. તેમની માતા મળશે તો તેમને તેની પાસે છોડી દેવાશે.

(5:15 pm IST)