Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નર્મદાના કચ્છના રૂ. ૩૪૭પ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી

કચ્છના ૬ તાલુકાઓના ૯૬ ગામોના ૩ લાખ ૮૦ હજાર લોકો અને ર લાખ ૩પ હજાર એકર જમીનને મળશે નર્મદા જળની સુવિધા : ૩૮ જળાશયો ઉપરાંત અન્યચેકડેમ – તળાવોને ભરાશે, ખેતી અને પશુપાલનને મોટો ફાયદો

(વિનોદ ગાલા દ્વારા)(ભુજ:::: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છને ફાળવાયેલા નર્મદાના પૂરના વહી જતા વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીનો મહત્તમ લાભ કચ્છને આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.  આ માટે કચ્છ શાખા નહેરના કામોની હાલની સ્થિતી ધ્યાનમાં રાખીને હાલના તબક્કા ૧ અંતર્ગત રૂ. ૩૪૭પ કરોડના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સાથે સાથે રાજ્યના જળસંપત્તિ વિભાગને કામો ઝડપથી હાથ ધરવાની સૂચનાઓ પણ આપી છે*. 

આ કામો હાથ ધરાવાને પરિણામે હાલ પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મૂંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ ૬ તાલકુાના ૯૬ ગામોની ર લાખ ૩પ હજાર એકર જેટલી જમીનમાં પાણીની સુવિધા પૂરી પાડી શકાશે*. 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના નાગરિકો-પ્રજાજનોની લાંબાગાળાની લાગણી, અપેક્ષા પરિપૂર્ણ કરવા કરેલા આ ઐતિહાસિક નિર્ણયને પરિણામે ૩ લાખ ૮૦ હજાર જેટલી માનવ વસ્તીને પણ નર્મદાના પાણીનો લાભ મળતો થવાનો છે. ગુજરાતની જિવાદોરી સમાન બહુહેતુક નર્મદામૈયાના પૂરના વહિ જતા વધારાના ૩ મિલીયન એકર ફિટ પાણીમાંથી ૧ મિલીયન એકર ફિટ સૌરાષ્ટ્રને, ૧ મિલીયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને ૧ મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે કર્યો હતો.

હવે વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં આ નિર્ણયની ફલશ્રુતિ રૂપે સૌરાષ્ટ્રમાં સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અન્વયે આ પાણી પહોચાડવાના મોટા ભાગના કામો પૂર્ણ થયા છે.  પરંતુ, હવે કચ્છ જિલ્લાને ફાળવાયેલા ૧ મિલીયન એકર ફિટ પાણીનો મહત્તમ લાભ મળી શકે તે હેતુસર એક ઐતિહાસિક નિર્ણય લઇને કચ્છ શાખા નહેરના કામોની હાલની સ્થિતી ધ્યાનમાં રાખી હાલના તબક્કા-૧ અંતર્ગત રૂ. ૩૪૭પ કરોડના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કચ્છમાં હવે આ નર્મદાનું વધારાનું પાણી મળતું થવાથી ખેડૂતો મબલક પાક ઉત્પાદન લઇ શકશે અને લોકોનું જનજીવન ધોરણ ઊંચુ આવવા સાથે આર્થિક સમૃદ્ધિ પણ વધશે.

કચ્છ જિલ્લામાં પશુપાલન પણ મુખ્ય વ્યવસાય છે તેવા સંજોગોમાં નર્મદાનું આ પાણી કચ્છને મળવાથી ઢોર-ઢાંખર માટે ઘાસચારાની સમસ્યાનો અંત આવશે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થશે. 

એટલું જ નહિ, અગાઉ પાણીના અભાવે કચ્છના પશુપાલકોનું ઢોર-ઢાંખર સાથે થતું સ્થળાંતર પણ અટકશે. પ્રથમ તબક્કા હેઠળ ૩૪૭પ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની જે સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે તેમાંથી જળસંપત્તિ વિભાગ દ્વારા સરન જળાશય, સર્ઘન લીંક-તબક્કો-૧, હાઇ કન્ટુર સ્ટોરેજ, નોર્ધન લીંક તબક્કો-૧ના વિવિધ કામો હાથ ધરવાનું આયોજન છે. જે આ  પ્રમાણે છે. (૧) કચ્છ  શાખા નહેરની સાંકળ ૧૦૫ કીમી પાસેથી  પાઇપલાઇન દ્વારા સરન જળાશય ભરવાનું  તથા આસપાસના વિસ્તારમાં પાણી આપવાનું આયોજન છે. અંદાજિત રકમ રૂ. ૫૦૦ કરોડના ખર્ચે આ કામ હાથ ધરાશે અને આ કામ થવાથી રાપર તાલુકાના ૯ ગામોના અંદાજે ૪૨૦૦૦ એકર વિસ્તારને સિંચાઇમાં તથા ૫૦૦૦૦ લોકોને લાભ થશે. 

(૨) સધર્ન લીંક (તબક્કો)-૧ અંતર્ગત ટપ્પર જળાશયમાંથી માંડવી તાલુકાના દરશડી જળાશય સુધીની કામગીરી હાથ ધરાશે. અંદાજિત રકમ રૂ. ૧૨૨૫ કરોડના આ કામોને પરિણામે અંજાર, માંડવી, મુંદ્રા અને ભુજ એમ ચાર તાલુકાના ૩૫ ગામોના અંદાજે ૭૫,૦૦૦ એકર વિસ્તાર તથા ૧,૧૦,૦૦૦ લોકોને લાભ મળશે. એટલું જ નહિ, આ લીંકથી અંજાર તાલુકાના ૬,  મુંદ્રા તાલુકાના ૬, માંડવી તાલુકાના ૫ અને ભુજ તાલુકાના ૩ એમ કુલ ૨૦ જળાશયોમાં પાણી નાખવામાં આવશે. (૩) હાઇ કન્ટુર સ્ટોરેજ અન્વયે આ લીંક હેઠળ ટપ્પર જળાશયમાંથી  ભુજ તાલુકાના જમારા જળાશય સુધી કામગીરી હાથ ધરવાનું આયોજન છે. અંદાજિત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે આ કામોને પણ અંજાર અને ભુજ એમ બે તાલુકાના કુલ ૨૦ ગામોના અંદાજે ૩૮૦૦૦ એકર વિસ્તાર તથા ૧,૧૦,૦૦૦ લોકોને લાભ મળશે. આ લીંકથી ભુજ  તાલુકાના ૬ જળાશયોમાં પાણી નાખવામાં આવશે. 

(૪) નોર્ધન લીંક: (તબક્કો-૧) અનુસાર આ લીંક હેઠળ તબક્કા-૧માં ટપ્પર જળાશયમાંથી  નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ સુધી કામગીરી હાથ ધરવામાં આવશે. અંદાજિત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે આ કામો થવાથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાના કુલ ૩૨ ગામોના અંદાજે ૮૦૦૦૦ એકર વિસ્તાર તથા ૧,૪૫,૦૦૦ લોકોને લાભ મળશે.     

સમગ્રતયા આ કામો હાથ ધરાવાથી પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લાના ૬ (છ) તાલુકા રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભુજ અને નખત્રાણાના ૯૬ ગામોના અંદાજે ૨,૩૫,૦૦૦ એકર વિસ્તારમાં પાણીની સુવિધા પુરી પાડી શકાશે તથા અંદાજે ૩,૮૦,૦૦૦ લોકોને લાભ મળશે. 

આ યોજનાકીય કામોમાં પાઇપલાઇનથી પાણી આપવાનું આયોજન છે તેથી પાણીનો બગાડ થશે નહીં અને પાણીનો મહત્તમ ઉપયોગ થતા તેના વધુમાં વધુ લાભો મેળવી શકાશે.      

         આમ, આ કામોમાં હાલના તબક્કે સરન જળાશય સહિત કુલ ૩૮ જળાશયોમાં પાણી નાખવાનું આયોજન છે. ઉપરાંત ચેક્ડેમો અને તળાવોમાં પણ પાણી નાખવાના આયોજનને પરિણામે ભુગર્ભ જળ પણ ઉંચા આવશે અને આસપાસના વિસ્તારમાં લોકોને સીધો-આડકતરો લાભ થશે. 

કચ્છ વિસ્તારમાં નર્મદા જળથી કૃષિ-પશુપાલનના વિકાસને નવી દિશા મળશે.

(12:33 pm IST)