Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

અમરેલીમાં વર્ષાથી પાણીના પોઇન્ટ ભરાયા : સિંહો ખુશ

ત્રણ દિવસથી વરસતા વરસાદને લઇ પાણી ભરાયાઃ કુદરતી પાણીના પોઇન્ટ પર પાણી પીતા સિંહોનો વીડિયો વાયરલ : આવા પોઇન્ટો ઉપર સિંહોની અવરજવર વધી

અમરેલી ,તા.૬: અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદ અને મેઘરાજાની મહેરના કારણે વનના રાજા સિંહોની પાણીની સમસ્યા હવે હલ થઈ ગઇ છે. છેલ્લા ત્રણ દિવસના વરસાદનાં પગલે પંથકમાં સાર્વત્રિક ઠંડક પ્રસરવારની સાથે સ્થાનિક નાગરિકોને આહ્લલાદક અનુભૂતિની સાથે સાથે જંગલ વિસ્તારના કુદરતી પાણીનાં પોઈન્ટમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેનાં પગલે આ કુદરતી પાણીનાં પોઈન્ટ પર સિંહોની અવર જવરમાં પણ વધારો થયો હતો. ધારી બાજુનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં કુદરતી પાણીના પોઇન્ટ પર પાણી પીતા સિંહો નજરે પડે છે. ગુજરાત રાજયમાં ઉનાળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. પીવાનાં પાણી માટે લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીરની શાન ગણાતાં સિંહો માટે વનતંત્રએ પીવાનાં પાણીની સુંદર વ્યવસ્થા પણ કરી છે. બૃહદગીર ગણાતાં રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતાં સિંહો સહિતનાં અન્ય વન્ય પ્રાણીઓને પીવાનાં પાણી મેળવવા મુશ્કેલી ન પડે તે માટે પીવાનાં પાણીનાં પોઇન્ટ બનાવવામાં આવ્યાં છે. પરંતુ કેટલાંક એવાં પોઇન્ટો પણ છે કે જેમાં પીવાનાં પાણી જોવાં પણ નથી મળી રહ્યું. ત્યારે મહત્વની બાબત તો એ છે કે હાલમાં તાજેતરમાં અમરેલીમાં આવેલા વરસાદને લઇને સિંહો માટે બનાવવામાં આવેલ દરેક કુંડ પાણીથી ભરાઇ ગયાં છે. સાથે સાથે હવે કુદરતી પાણીનાં પોઈન્ટ પર સિંહોની અવર જવરમાં પણ વધારો થયો હતો. જો કે, ધારી બાજુનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નોંધનીય વાત તો એ પણ છે કે સિંહો માટે આખો ઉનાળો પાણી માટે જ્યાં ત્યાં ગામડાઓમાં પાણીની તરસ છીપાવવા માટે જવું ન પડે તેવી સુવિધા વનવિભાગે બનાવીને સિંહો બચાવવા માટેનું એક ભગીરથ કાર્ય કર્યું છે. વનવિભાગના આ હકારાત્મક કાર્યની સાથે સાથે હવે મેઘરાજાએ પણ તેની મહેર વરસાવતાં કુદરતી પાણીના પોઇન્ટ પર ભર્યા ભર્યા બનતાં વનરાજાની અવરજવરમાં નોંધપાત્ર વધારો આવા સ્થળોએ નોંધાયો છે. વનવિભાગના અધિકારીઓએ આ બાબતની નોંધ લીધી હતી.

(11:09 pm IST)