Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

''ભાવનગર ઘોઘારી કપોળ જ્ઞાતિ''ની ચૂંટણીમાં ફરીવાર પ્રમુખ તરીકે ચૂંટાતા શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠ

રાજકોટઃ ભાવનગર ઘોઘારી કપોળ જ્ઞાતિના હોદ્દેદારો તથા પ્રમુખ માટેની ચૂંટણી કપોળ વાડી ખાતે યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે કપોળજ્ઞાતિમાં છેલ્લા ૬ વર્ષથી સફળતાપૂર્વક સેવા આપી રહેલ દેવેનભાઈ શેઠ તથા આદિત્ય આઈસ્ક્રીમવાળા પ્રકાશભાઈ મહેતા ચૂંટણી લડી રહ્યા હતા. દેવેનભાઈ શેઠની છેલ્લા ૬ વર્ષથી જ્ઞાતી માટેની નિષ્ઠા, સેવા તથા જ્ઞાતિ માટે કરેલ વિકાસને ધ્યાનમાં લઈ જ્ઞાતિજનોએ તેઓને ભારે બહુમતીથી પ્રમુખપદ માટે વધુ ૩ વર્ષ માટે ચૂંટી કાઢયા હતા. આ તબક્કે પ્રમુખશ્રી દેવેનભાઈ શેઠ એ તમામ જ્ઞાતિજનો તથા કપોળ મહિલા મંડળનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે હવેના વર્ષોમાં જ્ઞાતિના તથા જ્ઞાતિજનોના વિકાસ માટે વધુમાં વધુ કાર્યો કરવામાં આવશે તેની હું ખાત્રી આપુ છું. ચૂંટણી એકદમ એખલાસભર્યા વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ મતદાન કરવા તમામ જ્ઞાતિજનોનો આભાર વ્યકત કર્યો હતો.

 દેવેનભાઈ શેઠની પેનલમાં ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ મહેતા, મંત્રી તરીકે જયંતભાઈ સંદ્યવી, સહમંત્રી અમીતભાઈ વોરા, ખજાનચી તરીકે અમીતભાઈ સંઘવી તથા કમીટીના સભ્યોમાં અમીતભાઈ શેઠ,  હરેશકુમાર સંઘવી, મનીષભાઈ મોદી, રાજેન્દ્રભાઈ શેઠ, સુનીલભાઈ મુની તથા મનીષભાઈ મહેતા ચૂંટણીમાં વિજેતા થયા હતા. આ ચૂંટણીમાં ચૂંટણી કમીશ્નર તરીકે શ્રી વિનોદભાઈ બુસા, બીરેન્દ્રભાઈ મહેતા, તથા પ્રવિણભાઈ ચીતલીયાએ સેવા આપેલ. તેઓનો મંત્રીશ્રી જયંતભાઈ સંઘવીએ આભાર વ્યકત કરેલ. ચૂંટણીના અંતે શ્રી પ્રકાશભાઈ મહેતા તથા કેયુરભાઈ મહેતાએ જણાવેલ કે અમો જ્ઞાતિના દરેક વિકાસ કાર્યોમાં ચૂંટાયેલ કમીટીને પુરેપુરો સહકાર આપીશું તથા તેઓએ દેવેનભાઈ શેઠ અને તેના દરેક સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.(૩૦.૪)

 

(11:44 am IST)