Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

માળીયા મિંયાણાના નાનાભેલામાં ૧૦ જેટલા ગામના લોકો અેક સમયે રોજગારી મેળવવા આવતાઃ ખેતી પડી ભાંગતા લોકો હવે રોજગાર વિહોણા

મોરબી: સરકાર દ્વારા ખેડૂતોની આવકને બમણી કરીને ગામડાઓને સમૃદ્ધ કરવાની વાતો કરવામાં આવી રહી છે. જો કે, વાસ્તવિકતાએ છે કે, આજની તારીખે ઘણા ગામડાઓ સુધી સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા પણ સરકાર પહોંચાડી શકી નથી. જેના કારણે ગામડા ભાંગી રહ્યા છે. આવું એક ગામડું એટલે કે નાનાભેલા ગામ. ગામ મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલ છે અને એક સમયે ગામમાં આજુબાજુના 10 જેટલા ગામના લોકો રોજગારી મેળવવા માટે આવતા હતા. જો કે, આજની તારીખે ખેતી પડી ભાંગી હોવાથી ગામના લોકોને ધંધા રોજગાર માટે ગામમાંથી હિજરત કરવી પડે છે.

 

સામાન્ય રીતે ગામડામાં રહેતા લોકો શહેરમાં રહેવા જવાનું પસંદ કરતા નથી. કેમ કે, ગામડામાં જે શાંતિ, પ્રદુષણ મુક્ત વાતાવરણ મળે છે તેવું શહેરમાં મળતું નથી. પરંતુ મોરબી જીલ્લામાં આવતા માળિયા મિયાણા તાલુકાના નાનાભેલા ગામમાં રહેતા લોકો ધંધા રોજગાર માટે હિજરત કરીને મોરબી કે પછી અન્ય શહેરમાં ચાલ્યા ગયા છે. માળીયા તાલુકાના નાનાભેલા ગામની વાત કરીએ તો એક સમયે ગામની અંદર 270 જેટલા મકાનોમાં 1200થી વધુ લોકો રહેતા હતા. જો કે, આજની તારીખે ગામમાં માત્ર 150થી 200 લોકો રહે છે અને તે પણ સીનીયર સીટીઝન છે. બાકીના યુવાનો તો ખેતી પડી ભાંગી હોવાથી ધંધા રોજગાર માટે ગામ છોડીને ચાલ્યા હતા છે.

મોટાભાગના મકાનો બંધ પડ્યા છે. અત્રે ઉલેખનીય છે કે, હીરા બજારમાં તેજી હતી ત્યારે નાનાભેલા ગામમાં એક કે બે નહીં પરંતુ હીરાના કારખાના ધમધમતા હતા. જેથી નાનાભેલા ગામની આસપાસના 10 જેટલા ગામના લોકો નાનાભેલા ગામમાં રોજગારી મેળવવા માટે આવતા હતા. જો કે, આજની પરીસ્થીતીએ કારખાના બંધ થઇ ગયા છે, ખેતી પડી ભાંગી છે જેથી નાનાભેલા ગામ પણ પડી ભાંગ્યું છે. નાનાભેલા ગામે રહેતા ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તેના માટે એક નહીં અનેક વખત સ્થાનિક કક્ષાએથી લઈને સરકાર સુધી રજુઆતો કરવામાં આવી છે. છતાં પણ આજ સુધીમાં નક્કર આયોજન કરવામાં આવ્યું નથી.

નાનાભેલા તેમજ માળિયા તાલુકામાં આજની તારીખે ખેડૂતોને વરસાદ આધારિત ખેતીના પાક લેવા પડે છે અને બાકીના મહિનાઓમાં સિચાઈ માટે પાણીના વલખા મારવા પડે છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ માળીયા મિંયાણા તાલુકામાં સિંચાઇ માટેનું પાણી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતું નથી. જેના કારણે ખેડુતો તેમના ખેતરમાંથી બાર માસી પાક લઇ શકતા નથી. જો ચોમાસા દરમ્યાન મેઘ મહેર થાય તો ખેડુતોનું આખુ વર્ષે નિષ્ફળ જાય છે અને રોજગારી માટે પોતાનું ગામ પણ છોડવું પડે છે.

માળીયા તાલુકાના નાનાભેલા ગામની જેમ ચાંચાવદરડા, તરઘરી, સરવડ, મોટા દાહીસરા, નાના દહીસર, મોટા ભેલા, ભાવપર, બગસરા, વવાણીયા, લક્ષ્મીવાસ, બોડકી, કુંતસી, નાની બરાર, મોટી બરાર, જાજસર, દેવગઢ સહિતના ગામો એવા છે કે, જ્યાં સિંચાઇ માટે પાણીની કોઇ વ્યવસ્થા આટલા વર્ષોમાં કરવામાં આવી નથી અને હવે કેટલા વર્ષો પછી કરવામાં આવશે તે હાલમાં કહેવુ મુશકેલ છે. એટલે તો સરકાર ઉપરથી ભરોસો ઉઠી ગયો હોવાથી ગામડાના લોકો હવે ગામ છોડવા લાગ્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નર્મદાનું પાણી ખેડુતોના ખેતરો સુધી પહોંચાડવાની વાતો કરવામાં આવી રહી છે. જો કે નરી વાસ્તવિકતાએ છે કે, આજની તારીખે માળીયાના નાનાભેલા સહિતના અનેક ગામોમાં સિંચાઇ માટે પાણી પહોંચાડવામાં આવ્યુ નથી. જેના કારણે ખેડુતો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે અને ધંધા રોજગારની સાથોસાથ હવે દીકરા-દીકરીના સબંધ કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી હોવાથી ગામડાને છોડવા માટે ખેડૂતો મજબુર બની ગયા છે.

મોરબી માળીયા તાલુકાના એક કે બે નહી પરંતુ અનેક ગામો એવા છે કે, જ્યાં ચોમાસામાં પણ સિંચાઇ માટેના પાણીની રામાયણ હોય છે તો પણ રાજ્ય સરકાર દ્વારા માળીયા તાલુકાનો સિંચાઇ માટેનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી. જેના કારણે વિસ્તારના ખેડુતોને પારાવાર મુશકેલીઓનો સામનો કરવો પડે છે અને આટલુ નહીં કેટલાક ગામોમાંથી તો લોકો હિજરત કરીને નોકરી, ધંધા અને રોજગાર માટે હવે મોરબી તરફ નજર કરવી પડી છે. જો આવીને આવી પરીસ્થિત રહી તો આગામી વર્ષોમાં માળીયાના નાનાભેલા ગામની જેમ અનેક ગામ વસ્તી વિહોણા એટલે કે સાફ થઇ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

(5:29 pm IST)