Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ખારાગોઢાના આગરીયાઓએ મુખ્યમંત્રી સાથે મોકળાશથી 'મનની વાત' કરીઃ ગાંધીનગર નિવાસસ્થાને ૧૦૦ અગરિયાઓએ પાણી-મીઠું સહિતની મુશ્કેલીઓ વર્ણવી

વઢવાણ,તા.૬: મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુરૂવારે અગરિયાઓ સાથે વિજય રૂપાણીએ મોકળા મને ચર્ચાઓ કરી હતી જેમાં અગરિયાઓએ તેમના રણજીવનમાં પડતી વિવિધ હાલાકીઓ વિશે મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા.

તેમણે રજૂઆત કરી હતી કે તેમને મીઠાના ટેકાના ભાવ મળવા જોઈએ કારણ કે માત્ર ૨૦ પૈસામાં એક કિલો મીઠું વેચવું પડે છે. જે બજારમાં દસથી પંદર રૂપિયે વેચાય છે. આ ઉપરાંત કચ્છના નાના રણમાં સરેરાશ ૨૫ દિવસે એકવાર પીવાનું પાણી મળે છે. શિક્ષણનું સ્તર કથળેલું છે અને આરોગ્ય વાન પણ અઠવાડિયે એક જ વાર આવે છે. પાણીના ટેન્કરો પણ નિયમિત નથી આવતા આ રજૂઆતો સાંભળી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ગુરૂવારે તેમને મળવા આશરે ૧૦૦ જેટલા અગરિયા ઉપસ્થિત રહ્યા હતા.

(1:05 pm IST)