Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કોટડાસાંગાણીના માણેકવાડાના ચકચારી ખૂનકેસમાં પકડાયેલ દરબાર શખ્સોની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૬ : માણકવાડાના ચકચારી ખૂનના ગુન્હામાં પકડાયેલ દરબાર શખ્સોનો જામીન ઉપર છૂટકારો કોર્ટે ફરમાવેલ છે.

ગોંડલમાં રહેતા મેઘાભાઇ મંગાભાઇ સોંદરવાએ તેના પુત્ર નાનજીભાઇ મેઘાભાઇ સોંદરવાનું ખૂન કરવા અંગેની કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં તા. ૧૦/૩/૧૮ના રોજ ફરીયાદ નોંધાવેલ અને જેમાં આરોપી તરીકે જીતેન્દ્રસિં ઉર્ફે જીતુભા નિર્મળસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઉર્ફે ભીખુભા જાડેજા, નરેન્દ્રસિંહ ઉર્ફે ટીનુભા બહાદુરસિંહ જાડેજા, જગદીશ ઉર્ફે જગો ભરવાડ, અજયસિંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા તથા જીતેન્દ્રસિંહ ચંદુભા જાડેજાના નામો આપેલ હતા અને તપાસનીશ અધિકારીએ આઇ.પી.સી. કલમ ૩૦ર, ૧૪૩,૧૪૭,૧૪૮,૧ર૦(બી) અને એટ્રોસીટી એકટની કલમ ૩(૧)(આર) તથા ૩(ર) (પ) હેઠળ ગુન્હો નોંધેલ હતો. ઉપરાંત ગુન્હા અનુસંધાને એ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી.શ્રીએ તપાસ હાથ ધરી ઉપરોકત તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી અને તમામ આરોપીઓ વિરૂદ્ધ પૂરતા પુરાવાઓ મળતા ગોંડલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ હતી.

આ બનાવની હકીકત એવી છે કે ફરીયાદી મેઘાભાઇ મંગાભાઇ સોંદરવા તા. ૯/૩/૧૮ના રોજ સાંજના ૬:૦૦થી ૬:૩૦ની આસપાસ માણેકવાડા ગામમાંથી પસાર થતા હતાં ત્યારે ઉપરોકત તમામ આરોપીઓ ધાતકી હથીયારો તેઓની ગાડીમાં ભરતા હતાં અને ફરીયાદી પસાર થતા ગાળો આપી ફરીયાદીને તથા તેના પુત્રને આજે મારી નાંખવો છે તેવી ધમકીઓ આપેલ હતી. ત્યારબાદ રાત્રીના ૯:૦૦ વાગ્યાની આસપાસ ગુજરનાર નાનજીભાઇ મંગાભાઇ સોંદરવા તેઓનું મોટરસાઇકલ લઇ માણેકવાડા ગામથી સોળીયા ગામ તરફના રસ્તે જતા હતાં ત્યારે તમામ ઉપરોકત દરબાર શખ્સોએ કાવતરૂ રચી તેના ખૂન કરવાના ઇરાદે તેઓની ગાડી ગુજરનારના મોટરસાલકલ સાથે ભટકાળી તેઓને પછાડી દીધેલ અને તમામ આરોપીઓએ ગેરકાયદેસર મંડળ રચી ધાતકી હથીયારોથી ગુજરનાર ઉપર જીવલેણ હુમલો કરી મોત નિપજાવેલ હતું.

ઉપરોકત સંજોગોમાં આરોપી મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા તથા નરેન્દ્રસિંહ ઉર્ફે ટીનુભા બહાદુરસિંહ જાડેજાએ તથા જીતેન્દ્રસિંહ ચંદુભા જાડેજાએ જામીન અરજી કરેલ અને જે જામીન અરજી સેશન્સ અદાલતે નામંજુર કરતા આ તમામ આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં એટ્રોસીટી એકટ હેઠળ ફોજદારી અપીલ દાખલ કરેલ હતી અને જેમાં રજુઆત કરેલ હતી કે ગુજરનારના પિતાશ્રી રાત્રે હોસ્પિટલે હાજર હોવા છતાં બીજે દિવસે સાંજે ૪-૦૦ વાગ્યે હાલના આરોપીઓનું ખોટું નામ આપેલ છે. ગુજરનારનો જે બનાવ બનેલ છે તે અકસ્માતનો બનાવ બનેલ છે. ફરીયાદી હાલના અરજદારો વિરૂદ્ધ ખોટી ફરીયાદ કરવાની ટેવવાળા છે. ગ્રામજનોએ પણ ફરીયાદી વિરૂદ્ધ રજુઆતો કરેલ છે અને ગુજરનારને હોસ્પિટલે લાવનાર વ્યકિતઓના તપાસનીશ અધિકારીઓએ કોઇ નિવેદનો લીધેલ નથી. આરોપીઓને ગુન્હા સાથે સાંકળતો કોઇ પુરાવો મળેલ નથી. ચાર્જશીટ કોર્ટમાં રજૂ થઇ ગયેલ છે તેવી રજુઆતો કરેલ હતી જેથી ગુજરાત હાઇકોર્ટે ચાર્જશીટના કાગળો કાયદાકીય આધારો બચાવપક્ષની રજુઆતો ધ્યાને લઇ ઉપરોકત ત્રણેય આરોપીઓને જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં એડવોકેટ યોગેશભાઇ લાખાણી, આશિષભાઇ ડગલી, ભગીરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવીર બારૈયા, વિજયસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, મીલન જોષી, દીપ પી. વ્યાસ રોકાયેલ હતાં.

(12:13 pm IST)