Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

૧૦૦ વર્ષ જુનુ પીપળાનું વૃક્ષ કાપવામાં આવતાં ગઢડા મંદિર ફરી વિવાદમાં

ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગવતે વૃક્ષ કાપવાના મામલે ગઢડા મંદિરના ચેરમેન, ડેપ્યુટી કોઠારી સહિત ત્રણ સંતો સામે મામલતદારમાં લેખિત ફરિયાદ કરતા ફરી વિવાદ સામે આવ્યો છે

બોટાદ તા ૫  : ગઢડામાં આવેલું ગોપીનાથજી મંદિર કોઇને કોઇ વિવાદમાં આવે છે ત્યારે ૧૦૦ વર્ષ જુનું પીપળાનું વૃક્ષ કાપવામાં આવતા ફરી વિવાદ સર્જાયો છે.ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે વૃક્ષ કાપવાના મામલે ગઢડા મંદિરના ચેરમેન, ડેપ્યુટી કોઠારી સહિત ત્રણ સંતો સામે મામલતદારમાં લેખિત ફરિયાદ કરતા ફરી વિવાદ સામે આવ્યો છ.

બોટાદ જીલ્લાના ગઢડામાં ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર આવેલું છે. અહીં ભગવાન સ્વામિનારાયણ પોતે ૨૯ વર્ષ રહી પોતાની કર્મભૂમિ બનાવેલી છે, ત્યારે છેલ્લા ૨૦ વર્ષથી આચાર્ય પક્ષના લોકો વહીવટમાં હતા, પરંતુ આ વર્ષે ચૂંટણી થતાં દેવ પક્ષ સત્તા પર આવતાં જ મંદિર કયાંક ને કયાંક વિવાદમાં આવે છે. ત્યારે ગઢડા મંદિરમાં આવેલી અક્ષર ઓરડી પાસે ૧૦૦ વર્ષ જુનું પીપળાનું વૃક્ષ હતું એ મંદિરના વહીવટદારો દ્વારા કપાવી નાખવામાં આવતાં આચાર્ય પક્ષ અને ગઢડા મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે મામલતદારને ગોપીનાથજી મદિરના ચેરમેન, કોઠારી સહિત ત્રણ સંતો વિરૂધ્ધ ફરિયાદ આપી છે, જેમાં દેવ પક્ષના સ્વામી હરિજીવનદાસજી, (ચેરમેન ગોપીનાથજી મંદિર ગઢડા), સ્વામી હરિપ્રસાદદાસજી (આસિસ્ટન્ટ કોઠારી), તેમજ સ્વામી ભાનુપ્રકાશદાસજીના નામો સામેલ છે.

૧૦૦ વર્ષ જુના વૃક્ષને કાપવાના મામલે ગઢડા મામલતદાર પીપળિયાને પુછતાં જણાવેલું કે, પાર્ષ રમેશ ભગતે મંદિરના ચેરમેન સહિત ત્રણ વિરૂધ્ધ વૃક્ષ છેદનની ફરિયાદ કરી છે, જે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ ગઢડા મામલતદારે જણાવ્યું હતું.

(11:53 am IST)