Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સુરેન્‍દ્રનગર ખાતે શ્રેષ્‍ઠ શિક્ષક પારિતોષિક એનાયત

ચોટીલા, તા. ૬ : ‘શિક્ષક એ સાચા શિલ્‍પકાર છે અને બાળકોમાં સંસ્‍કારના પ્રાણ પુરવાનું કામ શિક્ષકો કરે છે.' તેમ ગુજરાત રાજય હાથશાળા અને હસ્‍તકલા નિગમના ચેરમેન શંકરભાઇ દલવાડીએ સી.યુ.શાહ મેડીકલ હોલ ખાતે યોજાયેલા શ્રેષ્‍ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ કાર્યક્રમ પ્રસંગે જણાવ્‍યું હતું. આ પ્રસંગે સાંસદ ડો. મહેન્‍દ્રભાઇ મુંજપરા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ધોરીયા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન દેવપાલસિંહ ઝાલાએ જણાવ્‍યું હતું કે, જીવન ઘડતર માટે સારા સંસ્‍કાર આપવાની ધરા શિક્ષક છે. પોતાને આપેલ જ્ઞાન માટે વિદ્યાર્થી જીવન પર્યંત પોતાના શિક્ષકને યાદ રાખે છે. તેમ જણાવી તેમણે સમાજ અને વાલીઓ પોતાના વ્‍હાલસોયા બાળકોના ભાવિ શિક્ષકોના હાથમાં છોડે છે, ત્‍યારે શિક્ષકોને પણ બાળકોની રૂચિ પ્રમાણે યોગ્‍ય, ઉત્તમ અને પરિણામલક્ષી શિક્ષણ આપવાના પ્રયાસો કરવા આહવાન કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષણ જગતમાં જે શિક્ષકો નિષ્‍ઠા-પ્રમાણિકતા અને ખંતથી કાર્ય કરતા હોય છે તે સમાજમાં હંમેશા સન્‍માનિત થતાં હોય છે.

આ પ્રસંગે જિલ્લા કક્ષાએ આવેલ શ્રેષ્‍ઠ શિક્ષકો સર્વશ્રી સંજ્ઞાબેન આચાર્ય, ધનજીભાઇ વાલેરા, ડી.એચ.પરમાર અને તાલુકાકક્ષાએ આવેલ શ્રેષ્‍ઠ શિક્ષકો સર્વશ્રી કનુજી ઠાકોર, હેમંતકુમાર પટેલ, નીતિનકુમાર પંચાલ, ભરતભાઇ સભાણી, જયશ્રીબેન મકવાણા, વીરમભાઇ ડાંગર, કેતનકુમાર ગદાણી, દિપ્તીબેન ગોહિલ, ઠાકરશીભાઇ ગાબુ અને પુષ્‍પાબેન દક્ષિણીને અધ્‍યક્ષશ્રી તેમજ મહાનુભાવોના હસ્‍તે શાલ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવેલ હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવતર અભિગમ અંતર્ગત પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા અને પરિક્ષામાં શ્રેષ્‍ઠ દેખાવ કરનાર તેજસ્‍વી વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવાના કાર્યક્રમ અન્‍વયે જિલ્લાના ૯૬૭ શ્રેષ્‍ઠ વિદ્યાર્થીઓ પૈકી ૧ર વિદ્યાર્થીઓને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત કરવામાં આવેલ હતાં.

કાર્યક્રમના પ્રારંભમાં સ્‍વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એમ. બારડ તેમજ આભારવિવિધ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એચ.એમ. ચૌધરીએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી સી.ટી. ટુંડીયા, પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણ સંઘના હોદેદારો, પદાધિકારી-અધિકારીઓ સહિત શિક્ષકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં.

(1:15 pm IST)