Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

સ્‍વયંભૂ જડેશ્વર મહાદેવનો શ્રાવણ માસના બીજા સોમવારે પ્રાગટય દીવસ

વાંકાનેરથી ૧૦ કિ.મી. દૂર રતન ટેકરી પર લીલીછમ વનરાઇ વચ્‍ચે બિરાજતા : રવિ-સોમ બે દિવસ લોક સાંસ્‍કૃતિક મેળો ભરાશે : સોમવારે નિજ-મંદિરેથી ડી.જે.ના સથવારે દાદાની પાલખીયાત્રા નિકળશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૬ : વાંકાનેર શહેરથી દસ કિ.મી. દુર આવેલ પુરાણ પ્રસિધ્‍ધ સ્‍વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી જડેશ્વરદાદાનો પ્રાગટયદીવસ ધામધુમથી ઉજવાશે.

અને આ પ્રસંગે પરંપરાગત યોજાતો લોક સાંસ્‍કૃતિક મેળો પણ મંદિરના નિચેના ભાગે તળેટીમાં રવિ-સોમ બે દિવસ ભરાશે અને ભાવિકો મન ભરી મજા માણશે.

વાંકાનેરથી દસ કિ.મી. દૂર આવેલા ડુંગરાઓની હારમાળામાં એક ડુંગર જેનું નામ ‘રતન ટેકરી' તરીકે ઓળખાય છે. આ ટેકરી ઉપર સૌરાષ્‍ટ્ર-ગુજરાતનું પ્રસિધ્‍ધ યાત્રાધામ ‘શિવધામ' સ્‍વયંભુ શ્રી જડેશ્વર મહાદેવનું ભવ્‍ય શિવાલય મંદિર આવેલ છે. આ મંદિરના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામસાહેબ ઉપરાંત વાંકાનેર તાલુકા અરણીટીંબા ગામ, ભગો ભરવાડ, ગૌમાતાનું શિવલીંગ ઉપર દુધાભિષેક સહિતના અનેક પરચા અને યાદગાર પ્રસંગો જોડાયેલા છે.ઇતિહાસનો ઘણો લાંબો છે તેથી ટૂકો સાર સાથે ઉપરોકત પ્રસંગોનું વર્ણાયેલ છે.

આ ભવ્‍યતાથી ભવ્‍ય મંદિંરમાં ગૌશાળા-પક્ષીઓને નિયમીત ચણ આવા સારા કાર્યો સાથે આ વિશાળ મંદિરમાં ભાવિકો અને ભૂદેવો ને રહેવા જમવાની પણ સુંદર વ્‍યવસ્‍થા દાદાના મંદિરના મહંતશ્રી તથા ટ્રષ્‍ટીઓ દ્વારા કરવામાં આવી છે.

શ્રાવણમાસ શરૂ થતા પહેલા જ સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાંથી મોટાપ્રમાણમાં ભૂદેવો અહીંયા પહોંચે છે. જેને મંદિર તરફથી રહેવા માટે રૂમની વ્‍યવસ્‍થા કરી આપવામાં આવે છે. આ બ્રહ્મદેવો આખો શ્રાવણમાસ અહીં જ રહે છે અને શ્રી જડેશ્વર દાદાનું પૂજન-અર્ચન-લઘુરૂદ્ર કરી ધન્‍યતા અનુભવે છે.

સ્‍વયંભુ શ્રી જડેશ્વર દાદાના સાનિધ્‍યમાં યોજાતો લોક સાંસ્‍કૃતિ મેળાનું રવિવારે સવારે મંદિરના મહંતશ્રી, પુજારી તેમજ રાજકીય, સામાજીક, શૈક્ષણીક અને ધાર્મિક સંસ્‍થાના અગ્રણીઓની ઉપસ્‍થિતીમાં શ્રી દાદાની તસ્‍વીર સમક્ષ દિપ પ્રાગટય કરી મેળો ખુલ્લો મુકવામાં આવશે. સાથે-સાથે કોઠારીયા ગામની શાળાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ દ્વારા લોકસાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ થશે. 

(11:33 am IST)