Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અખબારી અહેવાલના પગલે એસટી તંત્ર જાગ્યુઃ વડિયા-બાપુનગર રૂટ ફરી શરૂ

વડિયા વિસ્તારની છીનવાયેલી સુવિધા ફરી પ્રાપ્ત થતા લોકોમાં હાશકારો

(ભીખુભાઈ વોરા દ્વારા) વડિયા, તા. ૬ :. વડિયા એ અમરેલી જિલ્લાનુ છેવાડાનુ તાલુકા મથક છે. તાલુકા મથકની મોટાભાગની કચેરીઓ અહીં હોવા છતા આ વિસ્તારમાં વાહન વ્યવહારની પુરતી સુવિધાઓ અભાવ જોવા મળે છે. વડિયાના અનેક લોકો સુરત, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર જેવા શહેરોમાં વસવાટ કરે છે.

આ શહેરોમાંથી રોજ આવન-જાવન માટે ટ્રાફિક મળતો હોવા છતા પણ એસટી વિભાગ દ્વારા વડિયા પ્રત્યે ઓરમાયુ વર્તન રાખી ફકત એક જ લાંબા અંતરની વડિયા-બાપુનગર (અમદાવાદ) બસનો એક માત્ર રૂટ પણ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોને પડતી હાલાકી જોઈ આ સમાચાર વર્તમાનપત્રોમાં છપાતા અમરેલી જિલ્લાના એસટી વિભાગની આંખ ઉઘડતી જોવા મળી છે.

વડિયા-બાપુનગર રૂટની બસ ફરી શરૂ કરવામાં આવી છે. આ બસ શરૂ થતા આ વિસ્તારના લોકોને અમદાવાદ જવા માટે પડતી હાલાકીનો અંત આવ્યો છે, પરંતુ હજુ બીજા લાંબા રૂટની બસ સેવા વડિયાને મળે તેવી લોકલાગણી જોવા મળી રહી છે.

(11:16 am IST)