Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

મહાનગરોમાં ઘન કચરાના સેગ્રીગેશનથી વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિ દ્વારા નિકાલ અને સસ્તી ઊર્જા ઉત્પાદન માટે મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ

નગર વિકાસ કામો સાથે ઐતિહાસિક વિરાસત-વારસો ધરાવતા સ્થાનોના પણ પૂન:ઉત્થાન- રિનોવેશન કામોથી પ્રવાસન વિકાસને વેગ આપવાની નેમ :શ્રી વિજયભાઇ રૂપાણી

જૂનાગઢ મહાનગરમાં અમૃત મિશન-સ્વચ્છ ભારત મિશન અન્વયે ર૪.૧પ કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કરતા વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર :::મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓને શહેરોના ઘન કચરાનું સેગ્રીગેશન કરીને વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિથી નિકાલ દ્વારા સસ્તી ઊર્જા અને CNG ઉત્પાદન માટે પ્રેરિત થવા અનુરોધ કર્યો છે. 

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના મહાનગરોમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપનથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના દિશાનિર્દેશો મુજબ પર્યાવરણ જાળવણી થાય તે સમયની માંગ અનુરૂપ જરૂરિયાત છે. 

મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુલ રૂ. ર૪.૧પ કરોડના વિવિધ પ્રકલ્પોના વચ્યુર્અલ ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા. 

તેમણે અમૃત યોજનામાં પાણી પુરવઠાના પ્રોજેકટસ, વિતરણ વ્યવસ્થા, ભુગર્ભ ટાંકી સહિતના રૂ. ૧૧.૪૬ કરોડના કામોના ખાતમૂર્હત કર્યા હતા. 

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૧પ મેટ્રીક ટન ક્ષમતાના રૂ. ૪.૬૯ કરોડના બાયોમીશેન પ્લાન્ટનું અને ર.૮ લાખ ટન લીગેસી વેસ્ટનું બાયોફ માઇનીંગ પદ્ધતિ દ્વારા નિકાલ કરવાના રૂ. ૮ કરોડના પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યુ હતું. 

મુખ્યમંત્રીશ્રીએ નગરો-મહાનગરોમાં પણ પીવાનું પાણી, રસ્તા, ગટર લાઇટ સફાઇના મૂળભૂત જરૂરિયાતના કામો પ્રજાવર્ગોની અપેક્ષા પૂર્ણ થાય તે રીતે સૂપેરે ચાલે તે માટે મહાનગરો-નગરોના સ્થાનિક સત્તાતંત્રો પ્રજાહિત કાર્યોને વેગ આપે તેવું પ્રેરક સૂચન કર્યુ હતું. 

તેમણે જૂનાગઢ મહાનગરમાં વિકાસ કામોની તેજ રફતાર સાથે ઐતિહાસિક વારસો ધરાવતા સ્થાનો ઉપરકોટ, મકબરા, નરસિંહ મહેતા સરોવરના રિનોવેશન કામો અને ગિરનાર રોપ-વે ના કામોથી પ્રવાસન ધામ તરીકે પણ જૂનાગઢનો વિકાસ થવાનો છે તેની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સાસણગીર-સોમનાથ-ગિરનારની ટુરિઝમ સરકીટમાં પણ જૂનાગઢનું જોડાણ મહત્વપૂર્ણ બન્યું છે તેમ ઉમેર્યુ હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરે કચરાના સેગ્રીગેશનમાંથી ઊર્જા પ્રાપ્ત કરવાના ખાસ કરીને CNG ગેસ ઉત્પાદનના કરેલા સફળ પ્રયોગની સરાહના કરી હતી. 

પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહી આ વિકાસ કામોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શહેરોના આધુનિક વિકાસની કલ્પનાના પરિચય રૂપ કાર્યો ગણાવ્યા હતા. 

જૂનાગઢના મેયર શ્રી ધીરૂભાઇ ગોહિલે સ્વાગત અને કમિશનર શ્રી તુષાર સુમેરાએ આભાર દર્શન કર્યા હતા. 

સાંસદ શ્રી રાજેશ ચુડાસમા, જૂનાગઢ મહાનગર સેવા સદનના પદાધિકારીઓ, જિલ્લા-શહેરના સંગઠન પાંખના હોદ્દેદારો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

(4:58 pm IST)