Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ટેકનોલોજી આઈપી અને ઇનોવેશન ફોર બિલ્ડીંગ ઓફ ન્યુ ઈન્ડીયા થીમ પર રાષ્ટ્રય સ્તરની કોંન્ફરન્સ યોજાય

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે

ભાવનગર, તા.૬: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી આઈપી અને ઇનોવેશન ફોર બિલ્ડીંગ ઓફ ન્યુ ઈન્ડીયા થીમ સાથેની રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભારતીય નીતિ આયોગ, અને અટલ ઇનોવેશન મિશનના સંયુકત ઉપક્રમે યોજાયેલા રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતભરમાંથી ૬૬૭ જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમજ પંદર હજાર ચોરસફૂટની અત્યંત આધુનિક રાસાયણિક સંશોધન પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ અને વાંચનાલયની સવલતો સાથે બનાવવામાં આવેલ નવા બિલ્ડીંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી શ્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ આયોજનને બિરદાવતા કહ્યું હતું કે આ પ્રકારના આયોજન એ ગુજરાતના ભવિષ્ય માટે સારા સંકેત સમાન છે. નવા સંશોધનો વિકાસશીલ દેશો માટે ખૂબ જરૂરી છે. કોઈપણ મહાપુરુષના જીવનને નજીકથી જોઈએ તો તેઓએ અવિરતપણે જીવનમાં કંઇ ને કંઇ નવા સંશોધનો કર્યા હતા અને તેથી જ તેઓ વિશ્વને કંઇક નવું આપી શકયા. આ તકે મંત્રીશ્રીએ ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી એ સમાજ માટે કરેલા સંશોધનોને યાદ કર્યા હતા. સોલાર પેનલ, વીજળી, કુપોષણ, ઉજવલા, ઉજાલા, આયુષ્યમાન ભારત વગેરે જેવા સંશોધનો થકી વડાપ્રધાનશ્રી લોકોનું જીવન ધોરણ કઈ રીતે ઊંચું લાવી શકયા તેની સદ્રષ્ટાંત વાત કરી હતી.

આ સમારોહમાં કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ના કુલપતિશ્રી મહિપતસિંહ ચાવડા, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશનના ચેરમેન શ્રીઅનિલ સહસ્ત્રબુદ્ઘે, ભારતીય નીતિ આયોગના ડો.ઉન્નત પંડિત, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડો. અનામિક શાહ, એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસર શૈલેષ શાહ, આઇ.આઇ.ટી ગોહાટીના નિયામકશ્રી ડો. પરમેશ્વરન ઐયર, અમેરિકાની સૌથી મોટી ફાર્મા કંપની સી.ઇ.ઓ ડો.બીના નારાયણ ઉપરાંત કેડીલા, રેનબક્ષી, ટોરન્ટ, ગ્લેનમાર્ક જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કંપનીઓના ટોચના અધિકારીઓ તેમજ સમગ્ર દેશની વિવિધ યુનિવર્સિટીમાંથી આવેલ કુલપતીઓ, અધ્યાપકો તેમજ છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

(11:59 am IST)