Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

જુનાગઢનાં ભવનાથમાં હત્યાનો ભોગ બનનાર યુવકની ઓળખ મેળવવા તપાસઃ હત્યા કરનારાની શોધખોળ

જુનાગઢ તા. ૬: ભવનાથમાં અજાણ્યા યુવકની હત્યાનાં મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી હત્યારાઓની તલાશ અને મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢનાં ભવનાથમાં પરિક્રમા રૂટ વિસ્તારનાં જંગલમાંથી કોથળામાં બાંધેલી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સનસની મચી ગઇ હતી.

આ અંગેની જાણ થતાં પી.એસ.આઇ. કે. એન. મોરી એ સ્ટાફ સાથે દોડી જઇ તપાસ હાથ ધરતા અજાણ્યા યુવકને તિક્ષણ હથિયારનાં ઘા ઝીંકી પતાવી દઇ અજાણ્યા શખ્સોએ લાશને કોથળામાં બાંધી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને જંગલમાં ફેંકી દીધો હોવાનું જણાયું હતું.

આથી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ સાંજે પી.એસ.આઇ. મોરીએ હત્યાનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લાશ અત્યંત કોહવાઇ ગઇ હોવાથી તેની ઓળખ શકય બની નથી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આજે વ્હેલી સવારે જામનગર રવાના કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

વિશેષ તપાસ ફોજદાર શ્રી મોરી ચલાવી રહ્યા છે.

(4:02 pm IST)