Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઝેરથી મુકત પ્રાકૃતિક કૃષિથી જ પર્યાવરણની ખરા અર્થમાં સુરક્ષા થશે : રાજયપાલ આચાર્ય દેવવ્રતજી

સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવા ખેડુતો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવેઃ -સુભાષ પાલેકર ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ અને શારદાગ્રામ બીઆરએસ કોલેજના સંયુકત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ અંગે વેબિનાર યોજાયો

સુરેન્દ્રનગર તા. ૬ : ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વિશ્વ પર્યાવરણ દિને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવી પર્યાવરણ રક્ષા માટે પ્રતિબદ્ધ બનવા ખેડુતોને અનુરોધ કર્યો હતો. રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઝેરથી મુકત એવી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિથી જ પર્યાવરણની ખરા અર્થમાં સુરક્ષા થશે.

જુનાગઢ સ્થિત ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને માંગરોળની શારદાગ્રામ સંસ્થાની બી.આર.એસ.કોલેજના સંયુકત ઉપક્રમે ડિજિટલ પ્લેટફોર્મથી મદદથી યોજાયેલા વેબિનારને સંબોધન કરતાં રાજયપાલશ્રીએ જણાવ્યું હતં કે કોરોના મહામારીના સંકટથી લોકોને આત્મમંથન કરવાની તક મળી છે. જયારે-જયારે માનવજાત મહામારીનો ભોગ બની છે ત્યારે તેની પાછળ પ્રકૃતિ સાથે કરાયેલી છેડછાડ કારણભૂત હોય છે.

રાજયપાલશ્રીનું જણાવ્યું હતું કે, માનવીનું સમગ્ર જીવન પૃથ્વી આકાશ, અગ્નિ જળ અને વાયુ એવા પંચતત્વોથી પ્રભાવિત છે ત્યારે આ તત્વોનું સંતુલન બગડે છે ત્યારે માનવ જીવન મુશ્કેલીમાં મુકાય છે. કોરોનાને કારણે એ વાત સિદ્ધ થઇ છે તે સંક્રમણ સામે ટકી શકે છે. કે જેની રોગપ્રતિકારક શકિત મજબુત છે તે વાત દોહરાવતા રાજયપાલશ્રીએ ઉમેર્યું હતું કે, રાસાયણિક ખાતરોથી અને જંતુનાશકોના ઝેરથી યુકત રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતા અનાજથી કેન્સર, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગની શકતા વધે છે.જયારે પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થતા ખાદ્યાન્નથી માનવીનું સ્વાસ્થ્ય જળવાય છે. રોગપ્રતિકારક શકિત વધે છે. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સ્વદેશી અભિયાન દ્વારા સાર્થક કરી શકાશે તેવુ દ્રઢપણે જણાવતા રાજયપાલશ્રીએ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિને અપનાવી મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની ભાવનાને મૂર્તિમંત કરવા ખેડુતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પદ્યશ્રી સુભાષ પાલેકરજીએ વેબસાઇટના માધ્યમથી ખેડુતોને સંબોધન કરતાં જણાવ્યું હતુંકે, સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવા માટે ખેડુતો ઝીરો બજેટ ધરાવતી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવે. તેમણે કોરોના સંક્રમણના આ કપરા કાળમાં સ્વાસ્થ્ય રક્ષક ખેતી પધ્ધતી તરીકે પ્રાકૃતિક ખેતીને ગણાવતા ઉમેર્યુ હતું કે, પ્રાકૃતિક ખેતી અને દેશી બીજનો વિકાસ અને સરળ બજાર પધ્ધતીથી ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સપનાને સાકાર કરી શકશે. તેમણે ખેડૂતો પોતે જ ખેત ઉત્પાદનોમાં વેલ્યુ એડિશન અપનાવે તેવો અનુરોધ પણ કર્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ યુનિવર્સિટીની સાફલ્યગાથા વર્ણવી હતી. તેમણે કોરના સંકટ સમયે 'રિટર્ન ટુ નેચર'ના સિધ્ધાંતને અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો. જયારે  શારદાગ્રામ માંગરોળની બી. આર. એસ. કોલેજના આચાર્ય ડો. આઇ. જી. પુરોહિતે કોલેજ દ્વારા પ્રાકૃતિક કૃષિના પ્રસાર માટે કરાયેલા પ્રયાસોની માહિતી આપી હતી.

આ વેબિનારમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવનારા કિસાનો, પ્રગતિશીલ ખેડૂતો પણ જોડાયા હતાં. વેબિનારને અંતે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અભિયાનના ગુજરાતનાં સંયોજક શ્રી પ્રફુલભાઇ સેંજલીયાએ આભારવિધી કરી હતી.

(1:00 pm IST)