Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મુન્દ્રા ઓલ્ડ પોર્ટ ઉપર સૌરાષ્ટ્ર-કચ્છના ૧૮૦ ખલાસીઓ ફસાયાઃ કવોરેન્ટાઇન પુરૃં, હવે ભૂખમરાની સ્થિતિ

કચ્છના સલાયા, માંડવી અને જામ સલાયા, જામનગર, વેરાવળના ૧૦ વહાણ અને ૧૮૦ ખલાસીઓએ પોતાને ઘરે જવાની મંજુરી માટે માંગણી

ભુજ,તા.૬: કોરોનાની મહામારીને પગલે ઓમાન દ્વારા ભારતીય જહાજો ઉપર બંદરે લાંગરવાનો પ્રતિબંધ મુકાતાં ઓમાનની સફરે જવા નીકળેલા સૌરાષ્ટ્રના દસ વહાણો પરત ફરીને મુન્દ્રા ઓલ્ડ પોર્ટ પર લાંગર્યા હતા.  આ વહાણો સાથે તેની અંદરના ૧૮૦ ખલાસીઓને દરિયામાં જ કવોરેન્ટાઈન કરાયા હતા.  હવે ૧૪ દિવસનો કવોરેન્ટાઈન પિરિયડ પૂરો થઈ ગયો છે. ત્યારે આ ખલાસીઓની હાલત કફોડી છે.

 

કચ્છ વહાણવટી એસોસિએશનના પ્રમુખ હાજી આદમ હાજી સીદીક (ભોલુ) એ આ અંગે રજુઆત કરતા જણાવ્યું છે કે, વહાણમાં ખાધા ખોરોકી ખૂટી ગઈ છે, ખલાસીઓ ભૂખમરો વેઠવો પડે તેવી પરિસ્થિતિમાં મુકાયા છે. ત્યારે આ તમામ ૧૮૦ ખલાસીઓને તેમના ઘેર પરત જવાની મંજૂરી આપવામાં આવે.

ફસાયેલા વહાણોમાં માંડવી કચ્છના અલ આલમ, ઉવેશ કરની, ભૂમિકા, અસમાર, ફેઝામામૂદી છે. તો વેરાવળ જામનગરના વહાણો હરિધામ, હરિદ્વાર, વિશ્વ કલ્યાણી, હાબી, જુસબ છે.

(10:33 am IST)