News of Monday, 6th February 2023
રાજકોટ તા. ૬ : ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા, આજીવન લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની, ખાદી-રચનાત્મક ક્ષેત્રના આગેવાન, પૂર્વ-મંત્રી સ્વ. વજુભાઈ શાહની ૧૧૩મી જન્મજયંતી નિમિત્તે વિવિધ સ્મૃતિ-સ્થળોએ ભાવાંજલિ અર્પણ થઈ. ૦૬ ફેબ્રુઆરી ૧૯૧૦ના રોજ રાજકોટ જિલ્લાના જામ-કંડોરણા તાલુકામાં આવેલ સાતોદર-વાવડી ગામે જન્મેલાં વજુભાઈ શાહએ ૦૯ જાન્યુઆરી ૧૯૮૩ના રોજ અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધેલાં. એમનાં ધર્મપત્ની, આજીવન સમાજ-સેવિકા, ખાદી-રચનાત્મક ક્ષેત્રનાં આગેવાન, પૂર્વ-સાંસદ સ્વ. જયાબેન શાહનું પણ જન્મ શતાબ્દી વર્ષ હોવાથી આનું સવિશેષ મહત્વ છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી ઉપરાંત વજુભાઈ શાહ-જયાબેન શાહના અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક પુત્ર ડો. અક્ષયભાઈ શાહ, ગ્રામ સ્વરાજ મંડળ (પારડી)ના પ્રમુખ અને સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલિયા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ હિંમતભાઈ ગોડા, સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટના ટ્રસ્ટી, માનદ્ નિયામક દિલીપભાઈ શુક્લ, જીવનશાળા (આંબરડી)ના મેનેજિંગ ટ્રસ્ટી ખોડાભાઈ ખસીયા, જયમલભાઈ ચૌહાણની આ અવસરે વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
વંચિત સમાજના ક્લ્યાણ-ઉત્થાન માટે આજીવન સતત કાર્યરત વજુભાઈ શાહ-જયાબેન શાહની પ્રેરણાથી સ્થાપિત ગ્રામ સ્વરાજ મંડળ (પારડી) દ્વારા રાજકોટ જિલ્લાના કોટડા-સાંગાણી ગામ ખાતે અત્યંત ગરીબ, વંચિત વાલ્મીકિ સમાજના સાત પરિવારો માટે રહેવાના પાકા આવાસનું નિર્માણ-કાર્ય સહુએ નિહાળ્યું હતું. સંસ્થા દ્વારા વાલ્મીકિ સમાજના યુવાનોને સ્વરોજગારી માટે ઢોલ પણ ભેટ આપવામાં આવ્યાં હતાં. ગ્રામ સ્વરાજ મંડળ (પારડી)ના સહુપ્રથમ પ્રમુખ જયાબેન તથા વજુભાઈ શાહની પ્રેરણાથી હાલના ૮૬-વર્ષીય પ્રમુખ ધીરૂભાઈ ધાબેલિયાએ માત્ર ૧૮ વર્ષની યુવા વયે લોકસેવાનો ભેખ ધર્યો હતો જે ખાસ ઉલ્લેખનીય છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના છેવાડાના ગામ માટેલ ખાતે સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા (આશ્રમશાળા) ખાતે નવનિર્મિત જયાબેન શાહ કુમાર છાત્રાલય તથા વજુભાઈ શાહ કન્યા છાત્રાલયને નિહાળીને સહુએ રાજીપો વ્યકત કર્યો હતો. આ બન્ને છાત્રાલયોના નવનિર્માણ માટે આ સંસ્થાના પ્રેરણામૂર્તિ વજુભાઈ શાહ-જયાબેન શાહના અમેરિકા સ્થિત પુત્ર ડો. અક્ષયભાઈ શાહ, ગ્રામ સ્વરાજ મંડળ (પારડી), સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સેવા ટ્રસ્ટ, દરબાર ગોપાળદાસ દેસાઈ-ભક્તિબાના અમેરિકા સ્થિત પુત્ર ડો. બારીન્દ્રભાઈ દેસાઈ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. અહિ અભ્યાસ કરતાં આર્થિક-સામાજિક વંચિત વિદ્યાર્થીઓ સાથે સહુએ જ્ઞાન-ગોષ્ઠિ તેમજ પ્રીતિ-ભોજન લીધું હતું. રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ગામ ખાતે ગ્રામ સ્વરાજ મંડળ (પારડી) દ્વારા સંચાલિત જયાબેન શાહ બાલમંદિર તથા જયાબેન શાહ મહિલા વિકાસ કેન્દ્રની પણ સહુએ મુલાકાત લીધી હતી. જયાબેન શાહ મહિલા વિકાસ કેન્દ્ર ખાતે આર્થિક-સામાજિક વંચિત બહેનોને સિલાઈકામ અને ભરતગૂંથણની વિના-મૂલ્યે તાલીમ આપીને આર્થિક રીતે પગભર થાય તેવો પ્રયાસ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા બહેનોને સ્વરોજગારી માટે સિલાઈ-મશીન પેટે આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે.
પિનાકી મેઘાણી-ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી પોતાના માસી જયાબેન શાહ અને માસા વજુભાઈ શાહની પુણ્યસ્મૃતિમાં વંચિત, જરૂરિયાતમંદ પરિવારોને ઉચ્ચ ગુણવત્તાની અનાજ-કરિયાણાની કીટ ભેટ અપાઈ હતી.જયાબેન અને વજુભાઈ શાહ દ્વારા લિખિત ૧૧ જેટલાં પ્રેરક પુસ્તકોની ઈ-બુક સ્વરૂપે ડીજીટલ આવૃત્તિ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કરાઈ છે. ધીરૂભાઈ ધાબલિયા-ગ્રામ સ્વરાજ મંડળ (પારડી)ના સૌજન્યથી ડો. અક્ષયભાઈ વજુભાઈ શાહ દ્વારા નિર્મિત અને અપૂર્વભાઈ આશર-સિગ્નેટ ઈન્ફોટેક (અમદાવાદ) દ્વારા ડિઝાઈન કરેલી ૧૧ ઈ-બુક ઈન્ટરનેટ www.eshabda.online/jayabenvajubhai પર વિના-મૂલ્યે વાંચી શકાશે.(૨૧.૭)
જ્જ આલેખન જ્જ
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)