Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

શિહોર પાસે ટ્રેનનો મોટો અકસ્માત અટકયો

ભાવનગર - પાલીતાણા વચ્ચે રેલવે ટ્રેક ઉપર તિરાડ જોવા મળતા ટ્રેનને થોભાવી દેવાઇ

ભાવનગર તા. ૬ : ભાવનગરથી સવારે ૬.૧૫ કલાકે ઉપડતી ટ્રેન નંબર ૨૬૮ પાલીતાણા જવા માટે હેકડેઠઠ્ઠ મુસાફર ભરી રવાના થયેલ. તે દરમિયાન આ ટ્રેન સિહોર પહોંચતા સિહોર સ્ટેશન માસ્તરને પેટ્રોલ મેન દ્વારા ટ્રેન રોકવાનો સંદેશ મળતા આ ટ્રેન સિહોર ખાતે ટ્રેન થોભાવી દીધી હતી.

આ અંગેની વિગત સ્ટેશન માસ્તરે મેળવતા જાણવા મળેલ કે મોર્નિંગ પેટ્રોલ મેન સ્ટેશનથી ૪/૪/૫ પર સવારે ૬.૦૦ કલાકે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્થળ પર રેલવે ટ્રેકમાં મોટી તિરાડ જોવા મળેલ આ તિરાડથી ટ્રેનને મોટો અકસ્માત સર્જાવાની શકયતાઓ જણાતા સ્ટેશન માસ્તરને તથા પીડબ્લ્યુઆઈ જાણ કરવામાં આવેલ તેથી ટ્રેન સિહોર સ્ટેશન પર રોકવામાં આવેલ.

ત્યારબાદ જવાબદાર અધિકારી વ્યકિત સ્થળ પર પહોંચી ટ્રેક પર કલેમપિંગ કરી રોકાવેલ ટ્રેનને સિહોર ખાતેથી આજ ટ્રેક પર ઘટના સ્થળેથી માત્ર ૧૦ની સ્પીડે પસાર કરી મુસાફરોને તેના યોગ્ય સ્ટેશન સુધી પોહચાડ્યા હતાં. પેટ્રોલમેન મનિષભાઈ માળી અને સર્વેશ કુમારની સમય સુચકતાને કારણે એક મોટો અકસ્માત થતા અટકયો હતો.(૨૧.૧૦)

(11:24 am IST)