Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગોંડલમાં દારૂડિયા પતિથી ત્રાસી અગ્નિસ્નાન કરનાર રાજકોટના રેહાનાબેન રાઠોડનું મોત

રાજકોટ તા. ૩૧: રાજકોટ માવતર ધરાવતાં અને ગોંડલ મતવાના ઢોળે પાંજરાપોળ પાસે સાસરૂ ધરાવતાં રેહાનાબેન ફિરોઝભાઇ રાઠોડ (ઉ.૩૮) નામના મુસ્લિમ મહિલાએ ૩૧મીએ સવારે દસેક વાગ્યે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. તેનું આજે વહેલી સવારે મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. કામ ધંધો ન કરતો પતિ દારૂ પી મારકુટ કરી ખોટી શંકા કરતો હોઇ અને ત્રાસ ગુજારતો હોઇ જેથી કંટાળીને આ પગલું ભર્યાનું તેણીએ સારવારમાં હતી ત્યારે કહ્યું હતું.

દાખલ કરાયા ત્યારે હોસ્પિટલના બિછાનેથી રેહાનાબેને જણાવ્યું હતું કે પોતાના લગ્ન વીસ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. કેટલાક વર્ષથી પતિ ફિરોઝ કોઇપણ કામ ધંધો કરતો નથી અને દારૂ પી ઘરમાં માથાકુટ કરી ખોટી શંકા કરી હેરાન કર્યા કરે છે. ઘરનું ગુજરાન ચલાવવા પોતે ઘરે બેઠા ફાકીના પાર્સલ બાંધવાનું કામ કરે છે. પતિ સતત મારકુટ કરતો હોઇ કંટાળીને આ પગલું ભરી લીધુ હતું. સારવાર દરમિયાન આજે તેનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

માવતર રાજકોટ મોરબી રોડ પર રહે છે. પિતાનું નામ સુલતાનભાઇ રહેમાનભાઇ બ્લોચ છે. દિકરીને ખુબ જ ત્રાસ હોવાનું પિતા સુલતાનભાઇએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(11:43 am IST)