Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ભુજની જી.કે.હોસ્પિટલમાં વિતેલા વર્ષમાં બાળકો પૈકી એક ત્રેલડું અને ૬૩ જોડકાએ જન્મ લીધો

ગત વર્ષ ૨.૨૫ લાખ ઓપીડી, ૭૦ હજાર એકસ-રે અને ૫૦ હજાર લેબ ટેસ્ટ દ્વારા રોગોનું પરીક્ષણ થયું : ૬૧૬૭ દર્દી ઉપર ડાયાલીસીસ કરાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં વિતેલા વર્ષ ૨૦૨૦માં કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં વિતાવ્યું તેમ છતાં અન્ય રોગના દર્દીઓએ પણ જરૂરિયાત મુજબ સારવાર મેળવી હતી. જેમાં ગાયનેક, હાડકાના દર્દી વિગેરેનો સમાવેશ થાય છે. અને તમામ નાના મોટા વિભાગો મારફતે ઓપીડી અંતર્ગત ૨.૨૫ લાખ ઉપરાંત દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

જી.કે. હોસ્પિટલને માર્ચ મહિનામાં કોવિડ-૧૯ તરીકે ઘોષિત કરવામાં આવી અને તે પહેલા માર્ચ સુધી દરેક ક્ષેત્રે હજારો દર્દીઓએ સારવાર લીધી હતી. અને નાના-મોટા ઓપરેશન કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્ત્રીરોગ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન ૩૧૪૫ પ્રસૂતિ થઈ હતી. જેમાં ૧૬૪૮ બાળકો અને ૧૫૬૨ બાળકીનો જન્મ થયો હતો. આ જન્મ પૈકી એક ત્રેલડું અને ૬૩ જોડકાનો જન્મ થયો હતો. એમ  સ્ત્રીરોગ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

હોસ્પિટલમાં દર વર્ષની જેમ ગયા ૨૦૨૦માં પણ મેડિસિન વિભાગ દર્દીઓની સારવારમાં અગ્રેસર રહ્યો હતો. અને ૩૮ હજાર ઉપરાંત દર્દીઓએ સારવાર લીધી હતી. હાડકાના વિભાગમાં પણ દર્દીઓનો ધસારો રહ્યો હતો. અને ૨૬ હજારથી વધુએ હાડકાની સારવાર કરાવી હતી. કાન,નાક અને ગળાના અને આંખના ૧૬ હજાર જેટલા તેમજ સર્જરી વિભાગમાં ૨૧ હજાર દર્દીઓ જોડાયા હતા. આ ઉપરાંત ચામડી,  સ્ત્રીરોગ અને બાળરોગ વિભાગ દ્વારા પણ ગત વર્ષમાં સરેરાશ ૧૦ હજારથી વધુ પીડિતોએ સારવાર મેળવી હતી.

જિલ્લા કક્ષાની આ મોટી હોસ્પિટલના દર્દીઓની સારવાર સાથે કોવિડનું વર્ષ હોવા છતા જરૂરિયાત મુજબ શ સ્ત્રક્રિયા પણ કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન હોસ્પિટલના જુદા જુદા વિભાગો દ્વારા તમામ નાની મોટી સર્જરી કરવામાં આવી હતી. ઓર્થો ઇભાગ દ્વારા સૌથી વધુ ૧૧૬૮ શસ્ત્રક્રિયા થઈ હતી. ત્યારબાદ, ઇ.એન.ટી. મારફતે ૭૭૦, સર્જરી વિભાગ અંતર્ગત ૯૨૩, આંખ વિભાગ હેઠળ ૨૭૦ અને  સ્ત્રીરોગ વિભાગ દ્વારા ૫૩૬ શસ્ત્રક્રિયા થઈ હતી. આ ઉપરાંત નેફ્રોલોજી વિભાગ દ્વારા કિડની માટે ૬૧૬૭ ડાયાલીસીસ કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં ચાલતા રેડિયોલોજી વિભાગ દ્વારા ૭૦ હજાર X-RAY, ૧૬૮૬૪ સોનોગ્રાફી, ૨૩૫૦ એમ.આર.આઈ., ૫૪૬૭ સિટીસ્કેન કરી રોગોનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જયારે અંદાજે ૫૦ હજાર જેટલા લેબ ટેસ્ટ કરવાની સાથે ઇમરજન્સીમાં ૩૪૧૮૩ દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ગત વર્ષ દરમિયાન રવિવાર સહિત આવેલી જુદી જુદી રજાઓમાં ઇમરજન્સી કોરોના અંગેની તમામ આનુષાંગિક જરૂરી સેવા ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવી હતી.

(11:48 am IST)