Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સુરેન્દ્રનગરમાં કરીયાણાના વેપારીની હત્યા : રોકડની લૂંટ

એક જ દિવસમાં ડબલ મર્ડર સહિત ૩ની હત્યાથી લોકોમાં ચિંતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ડબલ મર્ડર સહિત ૩ની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. થાનગઢના સરોડીમાં જમાઇના હાથે ડબલ મર્ડરની ઘટના બાદ સુરેન્દ્રનગરના કરીયાણાના વેપારી ભરતભાઇ દરજીની હત્યા કરીને રોકડની લૂંટ થતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ તેમજ સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર સુરેન્દ્રનગર શહેરના રતનપર બાઈપાસ નજીક ખેરાળી રોડ ઉપર અજાણ્યા ઈસમો દ્વારા આધેડ યુવાનનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી હતી.

આ હત્યાના પગલે ઘટનાસ્થળે જોરાવનગર પોલીસ કાફલો દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આધેડ યુવાનની લાશને પી.એમ અર્થે શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મૃતક આધેડ યુવાન સુરેન્દ્રનગર શહેરના જોરાવનગર વિસ્તારમાં સીલીકેટ કારખાનાની સામે રહેતો હોવાનું ખુલવા પામ્યુ છે અને તેમના ઘર આંગણે કોમલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવે છે અનાજ કરીયાણા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારી ભરત ભાઈ દરજી અંદાજે ૫૫ વર્ષના આધેડ યુવાનની હત્યા થઈ હોવાનું અનુમાન જોરાવનગર પોલીસ ટીમની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પૈસાની લૂંટ કરવા માટે વેપારી ઉપર ખૂની હુમલા નો ખેલ ખેલી અને મોતને ઘાટ ઉતાર્યા છે ત્યારે તેમને પીએમ અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલ ખાતે હાલમાં કરવામાં આવ્યા છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:14 am IST)