Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દિલ્હીમાં લાઠીચાર્જ સામે જામનગરના વકિલો દ્વારા વિરોધઃ કાલે કોટ ઉપર લાલપટ્ટી ધારણ કરશે

જામનગર તા.૫: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સી.કે.પટેલ, વાઇસ-ચેરમેન જીતેન્દ્ર બી.ગોળવાલા,એકઝીકયુટીવ કમિટીના ચેરમેન રમેશચંદ્ર એન.પટેલ તથા શિસ્ત કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવેલ છે કે તા.૨-૧૧-૨૦૧૯ને શનિવારના રોજ નવી દિલ્હી ખાતે તીસહજારી કોર્ટ દિલ્હી કોર્ટ કમ્પાઉન્ડમાં દિલ્હી પોલીસ દ્વારા મામલી બાબતમાં વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરાયો હતો.

જેમાં કેટલાક વકીલમિત્રો ગંભીર રીતે ઘાયલ થયેલા. એક વકીલમિત્રને ગોળી વાગેલી. આ બનાવ સંબંધે દિલ્હી હાઇકોર્ટે સુઓમોટો લઇ પોલીસ કમિશ્નર દિલ્હીને ઇજા પામનાર વકીલોના સ્ટેટમેન્ટ લઇ સ્ટેટમેન્ટના આધારે જવાબદાર પોલીસ સામે એફઆઇઆર દાખલ કરવા તેમજ સરકારને ઇજા પામનાર વકીલોને સારામાં સારી સારવાર એઇમ્સમાં આપવા તથા ઇજા પામાર વકીલોને વળતર આપવા તથા જયુડિશિયલ ઇન્કવાયરી માટે એસ.પી.ગર્ગ સાહેબની નિમણુંક કરવામાં આવેલ તથા ઇન્કવાયરી છ અઠવાડીયામાં પૂર્ણ કરવાનો તેમજ જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો તથા પોલીસ અધિકારી સામે પોલીસ કમિશ્નર દિલ્હીએ પગલા ભરવાનો તથા બે પોલીસ અધિકારીની બદલી કરવાનો હુકમ કરેલ છે. તેમજ કોઇપણ વકીલનો સામે સખત પગલાંના ભરવાનો હુકમ કરી વકીલ આલમને ન્યાય આપેલ છે.

આ ઘટનાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજયના તમામ ધારાશાસ્ત્રીઓને આહવાન કરવામાં આવે છે કે, ઉપરોકત ઘટનાને વખોડી કાઢવા તા.૬ને બુધવારે કોર્ટ સમય દરમિયાન તમામ ધારાશાસ્ત્રીઓ પોતાના કોર્ટ પર લાલપટ્ટી ધારણ કરીને વિરોધ પ્રસ્થાપિત કરશે.

(3:52 pm IST)