Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વિસાવદર બેઠક ઉપર ૨૦૨૨માં ૨૦૧૪નું પુનરાવર્તન નહિ થાય ને? રાજકારણ ગરમાયું

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૫ : વિસાવદર-ભેસાણ વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍યપદેથી હર્ષદભાઇ રિબડીયાએ રાજીનામુ ધરી દેતા સમગ્ર સોરઠમાં અવનવી ચર્ચાઓએ  જોર પકડયુ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે,૧૯૯૫મા કેશુભાઇ પટેલના આગમન સાથે જ વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્ર ભાજપનો ગઢ બની ચૂકયો હતો..કેશુભાઇ પટેલ વિસાવદર-ભેસાણની બેઠક પર ૧૯૯૫મા ૨૯૫૪૫ની લીડથી, ૧૯૯૮માં ૩૭૭૨૦ની લીડથી અને ૨૦૧૨મા ૪૨૧૮૬ની લીડથી જીત્‍યા હતા અને બબ્‍બે વખત મુખ્‍યમંત્રી બન્‍યા હતા..૧૯૯૫થી વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રની કેશુભાઇ પટેલના ગઢ તરીકે ગણતરી થવા લાગી હતી...પરંતુ આર્યજનક રીતે ૨૦૧૪મા કેશુભાઇના સુપુત્ર ભરતભાઈ પટેલે આ જ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂટણી જંગમા ઝુકાવતા તેમને પરાજયનો સ્‍વાદ ચાખવો પડયો હતો..એ વખતે ભાજપની આંતરિક બાબતોની અનેકવિધ ચર્ચાઓ રાજકીય વર્તુળોમા સતત થતી રહી હતી...હવે હર્ષદભાઇ રિબડીયા કોંગ્રેસ છોડી ભાજપના ઉમેદવાર તરીકે ચૂટણી લડે તો ૨૦૧૪મા ભરત પટેલની હાલત થઈ હતી તેનુ કયાંક ૨૦૨૨માં તો પુનરાવર્તન નહી થાય ને..? તેવી ચોંકાવનારી ચર્ચાઓએ સમગ્ર વિધાનસભા મતક્ષેત્રમા જોર પકડયું છે...જો કે,હર્ષદભાઈ સત્તાવાર રીતે ભાજપમા જોડાય પછી મુળ ભાજપના આ વિસ્‍તારના નેતાઓ-આગેવાનો-કાર્યકરોનુ વલણ કેવુ રહે છે એ તરફ સૌની મીટ મંડાઈ છે.

દરમિયાન રાજકીય વર્તુળોમા ચર્ચાતી વિગતો મુજબ ભાજપ માટે સૌરાષ્‍ટ્રની જૂનાગઢ-ગીર સોમનાથ-અમરેલી જિલ્લાની ધારાસભાની બેઠકો હંમેશા પડકારરૂપ  સાબીત થઈ રહી હોય,આ ત્રણેય જીલ્લા સાથે સામાજીક,આર્થિક,રાજકીય,ખેતી વિષયક સબંધોથી વિસાવદર જોડાયેલ હોય,આથી ભાજપે દક્ષિણ  સૌરાષ્‍ટ્રમા પ્રવેશવા સૌથી પહેલા વિસાવદરને ટારગેટ બનાવ્‍યુ..જો કે,જૂનાગઢ-ગીર સોમનાથ-અમરેલીના  કેટલાક કોંગ્રેસી ધારાસભ્‍યો ભાજપમા જોડાઇ રહ્યાની ચર્ચાઓ પણ જોરશોરથી ગાજી રહી છે.

દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ હર્ષદભાઈ રિબડીયાનો દશેરા પૂર્વે ગઈકાલે જ રાજીનામાનો તખ્‍તો તૈયાર થઈ ચૂકયો હતો..વિધાનસભાના સ્‍પીકર ડો.નિમાબેન આચાર્યને રિબડીયાના રાજીનામા સંદર્ભે છેક ભૂજથી ગાંધીનગર બોલાવાયાની ચર્ચાઓ પણ થઈ રહી છે. 

(1:24 pm IST)