Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

થોડા સિંહોને જામનગર, પોરબંદર, વાંકાનેર પંથકમાં ખસેડવા જોઇએ : પરિમલભાઇ

વનરાજોને માનવ અતિક્રમણ અને હસ્તક્ષેપથી મુકત કરો, સિંહોને વિશ્વસ્તરીય આરોગ્ય : ચકાસણી - સારવારની સુવિધા જરૂરી : ગીરમાં ગેરકાયદે લાયન શો અને અકુદરતી મોતનો ભય

જામનગર તા. ૫ : વિશ્વમાં એશિયાઇ સિંહોના એકમાત્ર રહેઠાણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય તથા બૃહ્રદ ગીર વિસ્તારમાં દલખાણીયા રેન્જમાં સપ્ટેમ્બર ૧૨, ૨૦૧૮થી અત્યાર સુધીમાં થયેલાં ૨૩ સિંહોનાં મોતને ધ્યાનમાં લેતાં વન્યજીવ પ્રેમી અને રાજય સભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ કેન્દ્ર તથા રાજય સરકારને ગીરમાં એશિયાઇ સિંહોને વિશ્વસ્તરીય આરોગ્ય ચકાસણી અને સારવાર પૂરી પાડવા માટે આફ્રિકા, યુ.એસ. અને યુરોપમાંથી વિદેશી પશુચિકિત્સા નિષ્ણાતોની ટીમ બોલાવવા માટે વિનંતી કરી છે.

શ્રી નથવાણીએ જણાવ્યું હતું કે ગીર નેશનલ પાર્ક અને વન્યજીવ અભ્યારણ્ય બહાર સુધી ફેલાયેલા સિંહોની સંભાળ લેવા માટે કર્મચારીઓની સંખ્યા અપૂરતી છે. લગભગ ૧૬૭ જેટલા સિંહો સુરક્ષિત વિસ્તારની બહાર છે અને દરેક ગાર્ડે ૧૫-૨૦ ગામડાં ફરવા પડે છે. તેમણે ઉમેર્યું હતું કે ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યા વધતાં લગભગ ૩૦ ટકા જેટલા સિંહ સુરક્ષિત વિસ્તારની બહાર વસવાટ કરે છે અને સરકારે તેમના પર ધ્યાન આપવાની જરૂર છે. 'આ સિંહો પર ગેરકાયદે લાયન શો અને અકુદરતી મોતનો ભય રહેલો છે,' એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે યાદ કરાવ્યું હતું કે કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સી.ડી.વી.) અને પ્રોટોઝોન ચેપને કારણે સન્ ૧૯૯૪માં તાંઝાનિયાના સેરેનગેટી રીઝર્વમાં લગભગ ૧,૦૦૦ સિંહોનાં મોત નિપજયાં હતા. 'આફ્રિકા, યુ.એસ. અને યુરોપના નિષ્ણાત પશુચિકિત્સકો આ રોગચાળાને કારણે થતાં સિંહોના મૃત્યુને રોકવાનો અનુભવ ધરાવે છે તેથી ભારત સરકાર અને ગુજરાત સરકારે તેમનો સંપર્ક કરીને તેમને ગીરમાં લઇ આવવા જોઇએ. આ નિષ્ણાતો સિંહોની આરોગ્ય ચકાસણીમાં અને રોગના ફેલાવાને રોકવામાં મદદ કરશે,' એમ શ્રી નથવાણીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે સિંહોની સંખ્યાના પ્રમાણમાં તેમની સારવાર માટેની સુવિધા અપૂરતી છે. પશુ ચિકિત્સકોની સંખ્યા પણ એક કે બે જ છે. ખરેખર તો સિંહો માટે ખાસ ઇન્સેટિવ કેર એમ્બ્યુલન્સ પ્રકારની સુવિધા હોવી જોઇએ જેથી બીમાર કે ઘાયલ સિંહને ચિકિત્સા માટે લાવતાં લાવતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાનું શરૂ કરી શકાય.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકાર પાસે જંગલમાં રખડતાં કૂતરાંઓના ત્રાસને રોકવા માટે પણ કોઇ યોજના નથી. સી.ડી.વી.નો ચેપ કૂતરાંઓને પણ લાગે છે અને તેમના દ્વારા પણ આ રોગ ફેલાય છે. જો સરકાર નીલગાયને મારવા અંગે વિચારણા કરી શકતી હોય તો કૂતરાંઓના ત્રાસને દૂર માટે પણ વિચારણા કરવી જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી નથવાણીએ જણાવ્યું હતું કે ગીરમાં પ્રવાસનને ઉત્તેજન આપવું તે સારી વાત છે પણ વન વિભાગે દેશમાં ટાઇગર રીઝર્વ્સમાંથી શીખ મેળવવી જોઇએ જયાં દરેક રીઝર્વમાં ટૂરીઝમ કેપેસીટી ફોર્મ્યુલાના ઉપયોગથી વન્યજીવોને થતા માનવ હસ્તક્ષેપને નિયંત્રિત કરવામાં આવે છે.

માત્ર ગુજરાત અને ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ગર્વ સમાન એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત અને ભારત સરકાર વધારે ધ્યાન આપે તે માટેનો સમય પાકી ગયો છે, એમ શ્રી નથવાણીએ જણાવ્યું હતું. સિંહોના લાંબાગાળાનાં સંવર્ધનના ભાગરૂપે, ઇકો-સેન્સિટીવ ઝોનનો વિસ્તાર વધારવો જોઇએ. પર્યાવરણ, વન અને જળ-વાયુ પરિવર્તન વિભાગના સૂચન અનુસાર ઇકો-સેન્સિટીવ ઝોન સુરક્ષિત વિસ્તારથી ૧૦ કિલોમીટર સુધીનો હોઇ શકે છે, પરંતુ ગુજરાતમાં આ વિસ્તાર સુરક્ષિત વિસ્તારની સરહદથી માત્ર ૧૦૦-૫૦૦ મીટર જેટલો જ છે, એમ શ્રી નથવાણીએ જણાવ્યું હતું.

તેમણે એમ પણ જણાવ્યું કે ગીર જંગલ આસપાસના રેવન્યુ ક્ષેત્રમાંથી થોડા સિંહોને જામનગર-પોરબંદરની પાસેના બરડા ડુંગરનાં જંગલ તથા વાંકાનેર પાસે રામપરા-વીરડીના જંગલમાં ખસેડવા જોઇએ કારણ કે આ જંગલ વિસ્તારોનું વાતાવરણ ગીરને મળતું આવે છે અને સિંહોને અનુકૂળ પણ છે.

રાજય સભા સાંસદ શ્રી નથવાણીએ છેલ્લા એક દશકમાં રાજયસભામાં અનેક વખત સિંહોને લગતાં મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેઓ સિંહને ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવાના મુદ્દાને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે 'પ્રોજેકટ ટાઇગર' અને 'પ્રોજેકટ એલિફન્ટ' અનુસાર 'પ્રોજેકટ લાયન' શરૂ કરવાની અને ગીરમાં સિંહોના સંવર્ધન માટેના લાંબાગાળાના પ્રયાસ તરીકે માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે વધારે નાણાં ફાળવવાની હિમાયત પણ કરી છે.

શ્રી નથવાણીએ આ બાબતોને ધ્યાનમાં રાખીને પર્યાવરણ, વન અને જળ-વાયુપરિવર્તન મંત્રીઙ્ગ ડો. હર્ષવર્ધન, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અનેગુજરાતના વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાને પત્રો લખ્યા છે.(૨૧.૯)

(12:28 pm IST)